મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની તારીખોના એલાન છતાં રાજ્યમાં ભાજપ અને શિવસેના બેઠકોની વહેચણી કરી શકી નથી. બેઠકોની વહેચણી મામલે બંને પાર્ટીઓ વચ્ચે વાદવિવાદ છે ત્યારે શિવસેના સાંસદ સંજય રાઉતે મોટું નિવેદન આપતા કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોની વહેચણી ભારત-પાકિસ્તાનના ભાગલા કરતા પણ વધુ ભયંકર છે. અમે પહેલા જ વિપક્ષમાં રહ્યા હોત તો આજે પરિસ્થિતિ જુદી હોત.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભાજપ શિવસેના વચ્ચે ખેચતાણ
શિવસેના બંને પાર્ટીઓ વચ્ચે સરખી સીટો વહેચવા માંગ છે
ભાજપ શિવસેનાના ટોચનાં નેતાઓ કરશે બેઠક
RPI પાર્ટીએ પણ 10 બેઠકોની માંગણી કરી
નોંધનીય છે કે મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને શિવસેના નેતા દિવાકર રાઉતે પાર્ટીના દિગ્ગજ નેતા સંજય રાઉતનું સમર્થન કર્યું છે. જોકે થોડા દિવસ પહેલા જ મંત્રી દિવાકરે કહ્યું હતું કે જો ભાજપ શિવસેનાને અડધી સીટો નહિ આપે તો ગઠબંધન તૂટી શકે છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બેઠકોની વહેચણીનું કોકડું સુલજાવા માટે મહારાષ્ટ્રના ભાજપ અને શિવસેનાના વરિષ્ઠ નેતૃત્વ વચ્ચે વાતચીત થઇ શકે છે. બીજી બાજુ એનડીએના બીજા એક ઘટક દળ આરપિઆઇ(એ) પાર્ટીએ 10 સીટોની માંગણી કરી ભાજપની મુશ્કેલીઓ વધારી દીધી છે. શિવસેના ભાજપ જેટલા જ ઉમેદવારો ઉતારવા માંગે છે પણ ભાજપ તેને સરખી સીટો આપવા તૈયાર નથી.
ભાજપના નેતાનું કહેવું છે કે 2014 કરતાં 2019ના લોકસભા ચૂંટણીમાં ભાજપને વધુ મત મળ્યા છે. તે સિવાય જમ્મુ કાશ્મીરમાંથી ધારા 370 હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા વધી ગયી છે જેનો લાભ ભારતીય જનતા પાર્ટીને મળશે. જોકે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંને પાર્ટીના વરિષ્ઠ નેતા સાથે મળીને વચ્ચેનો રસ્તો કાઢી લેશે. RPI પાર્ટીના નેતા રામદાસ અઠાવલે કહ્યું હતું કે માત્ર અમુક સીટોના લીધે ગઠબંધન તૂટવું જોઈએ નહિ, શિવસેનાએ 120-125 સીટોના ફોર્મ્યુલાનો સ્વીકાર કરવો જોઈએ.
અઠાવલેએ કહ્યું કે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં તેમની પાર્ટી આરપીઆઇને ઓછામાં ઓછી 10 સીટો મળવી જોઈએ અને બધી જ સીટોની ખુબ જલ્દી વહેચણી કરવી જોઈએ. તેમણે કહ્યું કે જો સીટોની સારી રીતે વહેચણી કરવામાં આવે અને ભાજપ, શિવસેના, આરપિઆઇનું ગઠબંધન ચૂંટણી લડે તો 240 સીટો મળવી નિશ્ચિત છે.
કોંગ્રેસ-NCP વચ્ચે ગઠબંધન
નોંધનીય છે કે રાજ્યમાં વિપક્ષની પાર્ટીઓ કોંગ્રેસ અને એનસીપી વચ્ચે ગઠબંધન થવાની તૈયારીમાં છે. શરદ પવારે કહ્યું હતું કે કોંગ્રેસ અને એનસીપી મળીને 125-125 બેઠકો પર ચૂંટણી લડશે અને બાકીની બેઠકો સહયોગી પાર્ટીઓ માટે છોડવામાં આવશે. 2019 લોકસભા ચૂંટણી પહેલા ભાજપ અધ્યક્ષ અમિત શાહ અને શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેની ઉપસ્થિતિમાં બંને પાર્ટીઓ સરખી સીટો પર ચૂંટણી લડશે એવું નક્કી કરવામાં આવ્યું હતું. શિવસેના આ જ ફોર્મ્યુલા વિધાનસભા ચૂંટણીમાં કરવા માંગે છે.