ખેડૂત આંદોલન સોશિયલ મીડિયા પર દેશ-વિદેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. તો હવે બોલિવૂડ સેલેબ્સ પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે. જાણો સલમાન ખાને શું કહ્યું.
ખેડૂત આંદોલનનો પડઘો દેશ-વિદેશમાં પડી રહ્યો છે
તો હવે સલમાન ખાને આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે
ખેડૂત આંદોલનને લઈને હવે સલમાન ખાને તોડ્યું મૌન
ખેડૂત આંદોલનનો પડઘો હવે રસ્તાઓ સુધી જ સીમિત નથી રહ્યો પરંતુ સોશિયલ મીડિયા પર દેશ-વિદેશમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે અને હવે જ્યારે હોલિવૂડના સેલેબ્સે ખેડૂતોના હક માટે આગળ આવ્યા તો બોલિવૂડ સેલેબ્સે પણ આ મુદ્દે પોતાનો અભિપ્રાય આપી રહ્યાં છે.રિહાના, મિયા ખલીફા સહિત ઘણાં હોલિવૂડ સેલેબ્સેના ટ્વિટ્સ બાદ અક્ષય કુમાર, લતા મંગેશકર, સુનિલ શેટ્ટી, અજય દેવગણ, કંગના રનૌત સહિતના ઘણાં સેલેબ્સે દેશની એકતા જાળવી રાખવા અને ભારત વિરુદ્ધ એજન્ડા ચલાવનારાઓથી બચીને રહેવાનું કહ્યું. પરંતુ બોલિવૂડના ત્રણ ખાન આ મામલે અત્યાર સુધી મૌન રહ્યા હતા. જોકે, હવે બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાને આ મામલે પોતાનો અભિપ્રાય આપ્યો છે.
બોલિવૂડ સ્ટાર સલમાન ખાનને મુંબઈમાં એક મ્યુઝિક શોના લોન્ચ દરમિયાન ખેડૂતોના વિરોધ અંગે સવાલ કરવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલમાન ખાને આ સવાલનો જવાબ ખૂબ જ સંતુલિત અંદાજમાં આપ્યો. તેણે કહ્યું કે યોગ્ય કામ કરવું જોઈએ. સાચી વાત કહેવી જોઈએ અને સૌથી નેક કામ કરવું જોઈએ. આ મુદ્દે સલમાન ખાને ખૂબ જ સલામત રીતે જવાબ આપ્યો હતો અને ખેડૂત આંદોલનના મુદ્દે ખાસ કંઈ કહ્યું નહીં.
જ્યારે શ્રદ્ધા કપૂર અને તેના ભાઈ સિદ્ધાંત કપૂરે, ખેડૂતોના આ ચર્ચિત આંદોલન અંગે પોતાનો અભિપ્રાય આપતા કહ્યું કે, આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે સમાધાન કરવો જોઇએ. બંનેએ આશા વ્યક્ત કરી કે આ મુદ્દાને વહેલી તકે કોઈ ઉકેલ મળી જશે. જ્યારે સિંગર મીકા અને શાને ખેડૂતોને તેમના અન્નદાતા તરીકે ગણાવતા કહ્યું કે આ મુદ્દાને વાતચીત દ્વારા અને શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ. તેમણે કહ્યું કે આ મુદ્દાનો ઉકેલ વાતચીતથી જ નીકળશે અને બની શકે એટલું વહેલી તકે આ કામ કરવું જોઈએ.
ખેડૂત આંદોલનની આડમાં ભારતને બદનામ કરવાના વિદેશી ષડયંત્ર અંગે હાલમાં વિદેશ મંત્રાલયે #IndiaTogether અને #IndiaAgainstPropaganda પર એક નિવેદન જારી કર્યું હતું. આ ટ્વિટ પછી બોલિવૂડ સેલેબ્સે પણ પોતાનો પ્રતિસાદ આપવાનું શરૂ કરી દીધું હતું.