બિલ ગેટ્સના ગેટ્સ ફાઉન્ડેશને નરેન્દ્ર મોદીને પુરસ્કારથી સન્માનિત કર્યા જેના વિરોધરૂપે ગેટ્સ ફાઉન્ડેશનના કાશ્મીરી કર્મચારી સબાહ હામિદે રાજીનામું આપી દીધું હતું.
ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના "સ્વચ્છ ભારત અભિયાન" બદલ બિલ ગેટ્સ અને મેલિન્ડા ગેટ્સના ફાઉન્ડેશને તેમને "ગ્લોબલ ગોલકીપર"ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ પુરસ્કારના વિરોધરૂપે ગેટ્સ ફાઉન્ડેશનની કૉમ્યુનિકેશન સ્પેશ્યાલીસ્ટ અને પ્રોગ્રામ ઓફીસર સબાહ હામીદે તેની પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
સબાહે TRT World નામના એક મેગેઝીનમાં આપેલ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેને નરેન્દ્ર મોદીને પુરસ્કાર આપવાની બાબત માનવીય મુલ્યોના ધોરણે ખોટી લાગે છે. સબાહના મતે લોકોના કલ્યાણ માટે કામ કરતા, જરૂરીયાતમંદોની મદદ કરતા અને દુનિયામાં અસમાનતા દૂર કરવાની દિશામાં કામ કરી રહેલા ગેટ્સ ફાઉન્ડેશને એવી વ્યક્તિ જેના નિર્ણયોએ નિર્બળોને હાનિ પહોચાડી હોય અને દેશમાં અસમાનતાનું પ્રમાણ પહેલા કરતા પણ વધારી દીધું છે, એ વ્યક્તિને પુરસ્કાર આપવો એ અયોગ્ય અને અન્યાયિક છે. સબાહે આ આક્ષેપ નરેન્દ્ર મોદીના જમ્મુ અને કાશ્મીરના વિશેષ દરજ્જાને રદ્દ કરવાના મુદ્દે લગાવ્યો હતો. તેણે જણાવ્યું હતું કે તે ખુદ કાશ્મીરી છે પરંતુ આ નિર્ણય ફક્ત તેનાં કાશ્મીરી હોવાના કારણે જ નથી. તેના મતે કાશ્મીર અને તેની પ્રજા પ્રત્યેનો લોકોનો અભિગમ પ્રજા વિરોધી થઇ ગયો છે તથા ત્યાં મોદી સરકાર દ્વારા માનવ અધિકારોનો ભંગ થતા ગુના આચરવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીને તેમના સ્વચ્છ ભારત પ્રોગ્રામ અનુસાર ભારતના અલ્પવિકસિત વિસ્તારો અને જ્ઞાતિઓમાં શૌચાલયો બનાવવા બદલ આ સન્માન આપવામાં આવ્યું છે.
સબાહે જણાવ્યું હતું કે તેણે પોતાનો અણગમો અને વિરોધ સૌપ્રથમ તેના સીનીયર અધિકારીઓને જણાવ્યો હતો પરંતુ તેને તરત જ ખ્યાલ આવી ગયો કે આ નિર્ણય અફર રહેશે. આથી તેને કોઈ જ રસ્તો ન જડતા આ નિર્ણયના વિરુદ્ધમાં તેણે ગેટ્સ ફાઉન્ડેશનમાંથી રાજીનામું આપી દીધું.