અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી કાશ્મીર મામલે નિવેદન આપતાં આ મુદ્દે ફરી રાજકારણ ગરમાયું છે. આ વચ્ચે ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે બેંકોક ખાતે અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો સાથે મુલાકાત કરી છે. આ મુલાકાતમાં બંને રાષ્ટ્રોના પ્રતિનિધિ વચ્ચે દ્વિપક્ષીય વાર્તા યોજાઇ છે.
આ મુલાકાત દરમિયાન એસ. જયશંકરે કાશ્મીર મામે ભારતના વલણ અંગે અમેરિકાને જણાવ્યું છે કે કાશ્મીર ભારત-પાકિસ્તાન વચ્ચેનો દ્વિપક્ષીય મામલો છે. વિદેશ પ્રધાન એસ. જયશંકરે માઇક પોમ્પિયોને જણાવ્યું છે કે જો કાશ્મીર મુદ્દા પર વાતચીત થાય છે તો આ ભારત અને પાકિસ્તાન વચ્ચેનો મુદ્દો છે, જેમાં બંને દેશો વચ્ચે વાતચીત થશે.
ઉલ્લેખનીય છે કે એસ. જયશંકરનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એકવાર ફરી કાશ્મીરની મધ્યસ્થાને લઇને નિવેદન આપ્યું છે. આ અગાઉ ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકરે બેંકોકમાં વિયતનામના વિદેશ મંત્રી ફામ બિન્હ મિન્હ સાથે મુલાકાત કરી હતી.
થાઇલેન્ડમાં યોજાનારા આ આસિયાન શિખર સંમેલનની થીમ 'ભાગીદારી અને સતત વિકાસ' છે. આ આસિયાન શિખર સંમેલનના મુખ્ય મુદ્દાઓમાં આસિયાન ક્ષેત્રની અર્થવ્યવસ્થા પર ચીન-અમેરિકાના ટ્રેડ વોરનો પ્રભાવ, વિશ્વ વેપાર સંગઠનમાં સુધાર અને પ્રચાર, ક્ષેત્રીય વ્યાપક આર્થિક ભાગીદારી સમજૂતી (આરસીઇપી) માટે બેઠક છે.
ટ્રમ્પે કહ્યું મોદી ઈચ્છે તો અમેરિકા કાશ્મીર મુદ્દે મધ્યસ્થતા કરશે
જમ્મૂ-કાશ્મીર મામલે મધ્યસ્થતા કરવાની રજૂઆત કરનાર અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત કાશ્મીર મામલે નિવેદન આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે મધ્યસ્થતાને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નક્કી કરવાનું છે. ટ્રમ્પે કહ્યું કે મે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન સાથે વાત કરી હતી. મને લાગે છે કે બંને નેતાઓએ એકસાથે આવવું જોઇએ.