ઈતિહાસ સાક્ષી છે કે હંમેશા કોઈ એક દેશની નાની ભૂલ કે કોઈ એક શાસકની વધુ પડતી સત્તાલાલસા સમગ્ર દુનિયા માટે શ્રાપ સાબિત થાય છે અને તેનું માઠું પરિણામ સમગ્ર માનવજાતે ભોગવવું પડતું હોય છે.
યુદ્ધ ક્યારેય પણ શાંતિ માટે ન હોઇ શકે. યુક્રેન-રશિયા યુદ્ધ પોતાની ચરમસીમા પર છે. એક દિવસ યુદ્ધ શાંત થઇ જશે, સમજૂતી થશે, હાથ મિલાવવામાં આવશે. દેશોની વચ્ચે પરસ્પર સંબંધો પુનઃસ્થાપિત થશે, પરંતુ એક વસ્તુ ક્યારેય પાછી નહીં મળે, એ લોકોનાં જીવન, જેમનાં નિર્દોષ શ્વાસ કોઇ કારણ વગર જ રોકાઇ ગયા. એ લોકો પણ કોઇનો સહારો હતા. કોઇનાં માતા પિતા હતાં, કોઇનાં બાળકો હતાં. કોઇ સંતાન વગરનાં થઇ ગયા, તો કોઇ મા બાપ વગરના થઇ ગયા. વિદ્યાર્થીઓના ભવિષ્ય રોળાઇ ગયા.
યુદ્ધ થાય છે તો બંને દેશોને માનવીય મૂલ્યોથી હાથ ધોવા પડે
જ્યારે પણ યુદ્ધ થાય છે તો બંને દેશોને માનવીય મૂલ્યોથી હાથ ધોવા પડે છે. એ દેશોની તો ક્ષતિ થાય જ છે, તેની અસર બીજા દેશો પર પણ પડે છે. ભલે તે આર્થિક હોય, રાજકીય, સામાજિક કે નૈતિક હોય, પરંતુ યુદ્ધના લીધે થયેલું નુકસાન ક્યારેય પણ ભરપાઇ થઇ શકતું નથી. આજે એ જ હાલત રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધ દરમિયાન જોવા મળી રહી છે. યુક્રેનના કીવ શહેરમાં ખૂબ જ ભયાનક દ્રશ્ય જોવા મળી રહ્યું છે, જે માનવતાને ધ્રુજાવી રહ્યું છે.
યુદ્ધોમાં જ્યાં જાન માલની હાનિ થાય છે, તેટલા સૈનિકો પણ મૃત્યુ પામે છે. જે કોઇ માના સપૂત કે કોઇનો સહારો હોય છે. કેટલાય દિવસો વીતી જવા છતાં પણ રશિયા-યુક્રેન યુદ્ધની સ્થિતિ સામાન્ય થઇ શકી નથી. ભારત સરકારના પ્રયાસોથી હજારો વિદ્યાર્થીઓ અને અન્ય લોકોને ઓપરેશન ગંગા હેઠળ તેમના ઘરો સુધી સકુશળ પહોંચાડી દીધા છે. કોને ખબર હતી કે ત્યાં ભણવાનું તેમને આટલું મોંઘું પડી જશે.
માનવ જીવન પર ખતરો ફરી વધી રહ્યો છે
આખું વિશ્વ કોરોનાના કારણે આવેલા પડકારોનો સામનો કરી રહ્યું હતું, કોરોનામાંથી માંડ માંડ બેઠું થયેલું વિશ્વ હવે યુદ્ધનો સામનો કરી રહ્યું છે. આ યુદ્ધે સમગ્ર વિશ્વને પ્રભાવિત કરી દીધું છે. યુક્રેનમાં ફસાયેલા અન્ય દેશોના લોકો જીવન પણ ખતરામાં છે, પરંતુ રશિયા ગોળીબાર કરવામાં કોઇ કસર છોડતું નથી. માનવ જીવન પર ખતરો ફરી રહ્યો છે. આવા સંજોગોમાં શાંતિ કેવી રીતે પ્રસ્થાપિત થશે તે વર્તમાન સમયનો મોટો પ્રશ્ન છે.
ભારત સરકાર દ્વારા પોતાના નાગરિકોને સ્વદેશ લાવવાના દરેક શક્ય પ્રયાસ કરાયા છે. યુક્રેનથી પાડોશી દેશો સુધી પહોંચેલા નાગરિકોને ત્યાંથી સુરક્ષિત લાવવા માટે ચાર પ્રધાનોને પણ મોકલવામાં આવ્યા. આવા સંજોગોમાં સંયુક્ત રાષ્ટ્ર જેવી સંસ્થાઓની પ્રાસંગિકતા પર પ્રશ્નાર્થ ઊભો થાય છે કે આખરે તેમને અત્યારની નહીં તો ક્યારની સ્થિતિ નિયંત્રિત કરવા માટે રાખ્યા છે.રશિયા અને યુક્રેન યુદ્ધમાં રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન દ્વારા પોતાના પરમાણુ હથિયારોને પણ એલર્ટ પર રાખવાનું કહેવાની વાતથી આખા વિશ્વમાં દહેશત છે. આ યુદ્ધ ભલે બે દેશોની વચ્ચે છેડાયું હોય, પરંતુ પ્રત્યક્ષ રીતે વેપારની દૃષ્ટિથી આખી દુનિયા માટે તે ચિંતાનો વિષય બન્યું છે.
તેનાથી વૈશ્વિક રાજકારણ પણ પ્રભાવિત થશે
બંને દેશો રોકાવા તૈયાર નથી. માત્ર યુદ્ધને જ પોતાનું પહેલું અને આખરી હથિયાર સમજી રહ્યા છે. હવે આમાં શાંતિ તો નહીં જ આવે, પરંતુ સાવ નિર્દોષ લોકો પોતાનો વગર કારણે જીવ ગુમાવી રહ્યા છે. કોઇ સ્વતંત્ર દેશ પર નિયંત્રણ કે કબજો કરવો કેટલુ ઉચિત છે? આ ચિંતાનો પ્રશ્ન છે. ભલે બેકગ્રાઉન્ડ પહેલાં ગમે તે રહ્યું હોય, પરંતુ વર્તમાન સમયમાં કોઇ પણ ખુશહાલ દેશમાં અશાંતિ પેદા કરવી ઉચિત નથી. તેનાથી વૈશ્વિક રાજકારણ પણ પ્રભાવિત થશે.
હીરોશિમા-નાગાસાકી જેવી ઘટનાઓ ફરી દહોરાશે?
યુદ્ધના લીધે બંને દેશોને મોટું નુકસાન સહન કરવું પડશે, સાથે સાથે જો હીરોશિમા-નાગાસાકી જેવી ઘટનાઓ જો પુનઃ દોહરાવવામાં આવશે તો આવનારી પેઢીઓ પણ એ ડંખને સહન કરતી રહેશે, જે માનવ જીવન માટે સંકટ છે. આ યુદ્ધ સંકટનું વાર્તાથી સમાધાન કરવુ જ જોઇએ, કેમકે યુદ્ધથી શાંતિ નહીં અશાંતિ સ્થપાશે. ક્યારેય પણ યુદ્ધનું પરિણામ શાંતિ આવ્યું જ નથી અને ભવિષ્યમાં પણ નહીં જ આવશે. એવું પણ બની શકે કે આવનારી પેઢીઓ યુદ્ધના સર્જકોને ક્યારેય માફ ન પણ કરે.
ઈતિહાસ સાક્ષી છે કે હંમેશાં કોઈ એક દેશની નાની ભૂલ કે કોઈ એક શાસકની વધુ પડતી સત્તાલાલસા પણ સમગ્ર દુનિયા માટે શ્રાપ સાબિત થાય છે અને તેનું માઠું પરિણામ કોઈ એક દેશે નહીં, પરંતુ સમગ્ર માનવજાતે ભોગવવું પડતું હોય છે. રશિયા અને યુક્રેન આ હકીકત જલદીથી સમજી જાય અને નિર્દોષ નાગરિકોનો ભોગ લેનારો જંગ વહેલી તકે રોકી દે એવું દરેક સમજુ વ્યક્તિ ઈચ્છી રહી છે. કોઈ સમસ્યાનું સમાધાન હાથમાં ઘાતક હથિયાર લઈને મેળવી શકાતું નથી, એના માટે તો પ્રેમથી વાતચીત કરવી જરૂરી હોય છે.