રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ શાંતિ મંત્રણાને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, 'યુક્રેન રશિયા સાથે સમજૂતી માટે તૈયાર છે.'
યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું કે, 'અમે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાતચીત માટે તૈયાર છીએ. ઝેલેન્સ્કીએ વધુમાં કહ્યું કે, 'વાટાઘાટ કરવાનો ઇનકાર એ WW3 તરફનો ઇશારો છે'. આ દરમિયાન બ્રિટિશ અખબારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને લઈને મોટો દાવો કર્યો છે. સૂત્રના જણાવ્યાં અનુસાર, પુતિન ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરવા માટે સંમત થયા છે. રશિયાના રાષ્ટ્રપતિએ યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીને મળવાની ઓફર સ્વીકારી લીધી છે. જો કે ટૂંક સમયમાં જ બેઠકની તારીખ અને સ્થળ નક્કી કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, રશિયા તરફથી યુક્રેન પર સતત હુમલાઓ શરૂ છે. રશિયન સેના સતત યુક્રેનના રહેણાંક વિસ્તારોને ટાર્ગેટ કરી રહી છે. રશિયન હુમલાથી યુક્રેન લગભગ તબાહ થઈ ગયું છે. પરંતુ યુક્રેનની સેના હાર માની લેવા તૈયાર નથી. યુક્રેનની સેના મક્કમતાથી રશિયન સૈનિકોનો સામનો કરી રહી છે. બંને દેશો વચ્ચેનું આ યુદ્ધ ક્યારે સમાપ્ત થશે તે કહેવું મુશ્કેલ છે, પરંતુ આ યુદ્ધમાં રશિયાને પણ ઘણું નુકસાન થયું છે. જણાવી દઈએ કે બંને દેશો વચ્ચે ચાર રાઉન્ડની વાતચીત થઈ છે, પરંતુ યુદ્ધવિરામને લઈને કોઈ નક્કર ઉકેલ મળી શક્યો નથી. આ સાથે જ આવતી કાલે બંને દેશો વચ્ચે વાતચીતનો પાંચમો રાઉન્ડ થશે.
ઝેલેન્સ્કીએ શાંતિ અને સુરક્ષા વાટાઘાટો માટે પણ હાંકલ કરી હતી
તમને જણાવી દઈએ કે, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ શનિવારે રશિયા સાથે વિલંબ કર્યા વિના શાંતિ અને સુરક્ષા વાટાઘાટોની હાંકલ કરી હતી. તેઓએ જણાવ્યું કે, રશિયા પાસે પોતાની ભૂલોથી થતા નુકસાનને મર્યાદિત કરવાની આ એકમાત્ર તક છે. યુક્રેનના અધિકારીઓ સાથે વાટાઘાટો કરી રહેલા રશિયન પ્રતિનિધિ મંડળના વડાએ કહ્યું કે, યુક્રેનના તટસ્થ દરજ્જાને લઇને બંને પક્ષો કરારની નજીક પહોંચી ગયા છે.
બ્રિટેનના PMએ કર્યા ઝેલેન્સ્કીના વખાણ
બ્રિટિશ વડા પ્રધાન બોરિસ જોન્સનનું કહેવું છે કે, તેઓએ યુક્રેનમાં રશિયાના વિશેષ સૈન્ય ઓપરેશન વચ્ચે વ્લાદિમીર ઝેલેન્સ્કી અને તેમના પરિવારને બ્રિટનમાં શરણ આપવાની ઓફર કરી હતી. જ્હોન્સને કહ્યું કે, ઝેલેન્સ્કીની તેમની સાથે નિયમિત વાતચીત થતી રહેતી હોય છે અને તેઓ ખૂબ જ સારા વ્યક્તિ છે, પરંતુ તેઓ એક પ્રેરણારૂપ પણ સાબિત થયા છે.