જમ્મૂ-કાશ્મીર પર ભારતના નિર્ણયને રશિયાએ સમર્થન આપ્યું છે. રશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે ભારતે જમ્મૂ અને કાશ્મીરને ભાગમાં અલગ કરીને કેન્દ્ર શાસિત પ્રદેશ બનવવાનો નિર્ણય બંધારણીય અનુસાર લેવામાં આવ્યો છે. રશિયાને આશા છે કે જમ્મૂ-કાશ્મીર રાજ્ય પર મોદી સરકારે લીધેલા નિર્ણય બાદ કોઇ તણાવમાં વૃધ્ધિ નહી આવે.
યૂએન, અમેરિકા અને ચીન બાદ રશિયાએ ભારતને કર્યું સમર્થન
અમેરિકા અને સંયુક્ત રાષ્ટ્રએ કાશ્મીર મુદ્દાને દ્વિપક્ષીય હોવાનું જણાવ્યું હતું.
રશિયાના વિદેશ મંત્રાલય દ્વારા જણાવામાં આવ્યું છે કે અમને આશા છે કે ભારત-પાકિસ્તાન વચ્ચેના મતભેદોને દ્વિપક્ષીય આધાર પર રાજકીય અને રાજનૈતિક રીતે હલ કરવામાં આવશે. ભારત અને પાકિસ્તાન જમ્મૂ-કાશ્મીરમાં કરાયેલા ફેરફાર બાદ કોઇપણ પ્રકારના તણાવમાં વૃધ્ધિ નહીં કરે.
જ્યારે બીજી તરફ ચીને પણ ભારત અને પાકિસ્તાનના પોતાના વિવાદનું નિરાકરણ લાવવા વાતચીતનો આગ્રહ કર્યો છે. ઉલ્લેખનીય છે કે ચીનની આ પ્રતિક્રિયા પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીની ચીન સાથે કરેલી વાતચીત બાદ આવી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશી ભારત તરફથી કરવામાં આવેલ જમ્મૂ-કાશ્મીરને આપવામાં આવેલ વિશેષ દરજ્જો રદ્દ કરવાને લઇને ચીન સાથે વાતચીત કરવા પહોંચ્યા હતા.
આમ પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવાના પ્રયત્નો કરી રહ્યું છે પરંતુ તેમાં તેને કોઇ આશાનું કિરણ જોવા મળી રહ્યું નથી. ઉલ્લેખનીય છે કે શુક્રવારના રોજ પાકિસ્તાનને તેના પ્રયત્નો પર ત્યારે ઝટકો લાગ્યો જ્યારે સંયુક્ત રાષ્ટ્ર, અમેરિકા અને ચીને તેને સાથ આપવાનો ઇન્કાર કરી દીધો.
કાશ્મીર પર ત્રીજો પક્ષ નથી કરી શક્તો હસ્તક્ષેપઃ યુએન
યુએનના મહાસચિવે સિમલા સમજૂતિને યાદ કર્યું જેમાં કહેવામાં આવ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એક દ્વિપક્ષીય મુદ્દો છે જેમાં ત્રીજા પક્ષની મધ્યસ્થતાની જરૂર નથી. જો કે એક દિવસ પહેલા સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના દૂતે ધારા-370 હટાવવાના ભારતના નિર્ણય બાદ યુએન મહાસચિવ આ મુદ્દે પોતાની ભૂમિકા અદા કરે તેમ કહ્યું હતું. મહાસચિવે કાશ્મીર પર ભારત અને પાકિસ્તા વચ્ચે મધ્યસ્થતાની કોઇ રજૂઆત કરી નથી. તેના બદલે તેમણે સિમલા સમજૂતિની યાદ અપાવી.
કાશ્મીર પર નીતિમાં કોઇ ફેરફાર નથી આવ્યોઃ અમેરિકા
જ્યારે બીજી તરફ અમેરિકાએ શુક્રવારે જણાવ્યું હતું કે કાશ્મીર પર તેમની નીતિને લઇને કોઇ ફેરફાર આવ્યો નથી. અમેરિકાએ ભારત અને પાકિસ્તાનને શાંતિ તેમજ ધીરજ રાખવા જણાવ્યું. અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોર્ગન ઓર્ટાગસને જ્યારે પત્રકારોએ પૂછ્યું કે શું અમેરિકાની કાશ્મીર પર નીતિમાં કોઇ ફેરફાર આવ્યો છે. ત્યારે જવાબમાં જણાવ્યું કે કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેનો એક દ્વિપક્ષીય મુદ્દો છે. જો કાશ્મીરને લઇને નીતિમાં કોઇ ફેરફાર કરવામાં આવશે તો આ અંગે જાહેરાત કરીશ તેમ જણાવ્યું હતું.