રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મજૂર સંગઠન 'ભારતીય મજૂર સંઘ' એ શનિવારે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા કરાયેલી જાહેરાતોની ટીકા કરી છે. સંગઠનનું કહેવું છે કે સરકાર એક તરફ ખાનગીકરણને પ્રોત્સાહન આપી રહી છે જેનાથી નોકરીઓને નુકસાન પહોંચશે. સંગઠનનું કહેવું છે કે કોરોના મહામારીના સમયમાં જાહેર ક્ષેત્ર ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે.
કોરોના મહામારીના સમયમાં જાહેર ક્ષેત્ર ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે : મજૂર સંગઠન
નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા શનિવારે કરાયેલી જાહેરાતોથી નિરાશા થઇ : ભારતીય મજૂર સંઘ
જ્યારે બજાર અને ખાનગી સંસ્થાઓ લૉકડાઉનને પગલે બંધ છે તો જાહેર ક્ષેત્રનું મહત્વ વધી જાય છે. 'ભારતીય મજૂર સંઘ'ના મહાસચિવ બૃજેશ ઉપાધ્યાયે કહ્યું કે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા શનિવારે કરાયેલી જાહેરાતોથી નિરાશા થઇ છે. દેશના નાણામંત્રી નિર્મલા સીતારમણે નીતિગત બદલાવની મોટી જાહેરાત કરી. જેમા 8 મહત્વપૂર્ણ ક્ષેત્ર સામેલ છે. આ ક્ષેત્રોમાં કોલસા, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગ, એર સ્પેસ મેનેજમેન્ટ, એરપોર્ટ, ઉર્જા વિતરણ અને અટૉર્મિક એનર્જી સામેલ છે.
ઉપાધ્યાયે કહ્યું કે સરકાર ટ્રેડ યૂનિયન, સામાજિક પ્રતિનિધિત્વ કરનારા લોકો સાથે વાતચીત કરવામાં અને સૂચન લેવામાં અચકાઇ રહી છે. જે દર્શાવે છે કે સરકારને ખુદ પર વિશ્વાસ નથી. જે ટીકાને પાત્ર છે. મોટાભાગના ક્ષેત્રોમાં ભારતીય મજૂર સંઘ પહેલાથી જ ખાનગીકરણને લઇને આક્રોશમાં છે.
તેઓએ કહ્યું કે અમારા નીતિ નિર્માતાઓ માટે સુધાર અને પ્રતિસ્પર્ધાનો અર્થ છે ખાનગીકરણ. તેઓેએ આગળ કહ્યું કે કોઇપણ બદલાવની પહેલી અસર કર્મચારીઓ પર જ પડે છે. કર્મચારીઓ માટે ખાનગીકરણનો અર્થ છે નોકરી ચાલી જવી. તેનાથી માત્ર નફો કમાવા પર ભાર મુકવામાં આવશે, કર્મચારીઓનું શોષણ થશે અને ગુણવત્તાપૂર્ણ કાર્ય નહીં થાય. સમાજનું કોઇ સૂચન લીધા વીના સરકારે આ પ્રકારને બદલાવ ન કરવો જોઇએ. ડિફેન્સ મેન્યુફેક્ચરિંગમાં એફડીઆઇને પ્રોત્સાહન, ઓર્ડિન્સ ફેક્ટરીનું કોર્પોરેટકરણ વાંધાજનક છે.