રાજકોટ: જિલ્લા પંચાયતમાં ફરી રાજકારણ ગરમાયું છે. સામાન્ય સભા પહેલા ભાજપની તોડજોડની રાજનીતિ સામે આવી છે. સામાન્ય સભા પૂર્વે કોંગ્રેસના સભ્યો અજ્ઞાત સ્થળે રવાના થયા છે. આગામી 31 ઓગસ્ટે સામાન્ય મળનારી છે. જે મામલે રાજકારણ ગરમાયુ છે. ઉલ્લેખનીય છે કે ગત સામાન્ય સભામાં વિવિધ કમિટીની વરણી થઈ હતી. સામાન્ય સભામાં કોંગ્રેસના બળવાખોર જૂથનો દબદબો રહ્યો હતો. છેલ્લા 3 મહિનાથી વિકાસના કામો થયા નથી.
આ ઘટના મામલે મળતી જાણકારી અનુસાર રાજકોટ જિલ્લા પંચાયતની સામાન્ય સભા આગામી 31 તારીખના રોજ યોજાવાની છે જે પહેલા ભાજપ દ્વારા તોડજોડની રાજનીતિ કરવામાં આવી રહી હોવાનું સામે આવેલ છે. આ મામલાથી અવગત થઇને સ્થાનિક કોંગ્રેસના નેતા દ્વારા જિલ્લા પંચાયતના સભ્યોને તાત્કાલિક અસરથી કોઇ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
આપને જણાવી દઇએ કે રાજકોટ જિલ્લા પંચાયતમાં ભંગાણની શક્યતાને લઈ કોંગ્રેસ ચિંતામાં મુકાઈ ગઈ છે. ભંગાણની શક્યતાને લઇને કોંગ્રેસે સાવચેતીના ભાગરૂપે હરકતમાં આવીને તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી છે અને સામાન્યસભા પૂર્વે જ કોંગ્રેસી સભ્યોને કોઇ અજ્ઞાત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગત માસમાં પણ જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં પણ રાજકીય ભૂકંપ સર્જાવાની શક્યતાઓ જોવા મળી હતી જેને પગલે સ્થાનિક કોંગ્રેસ દ્વારા પંચાયતના સભ્યોને રાજકોટથી કોઇ અજ્ઞાત સ્થળે મોકલી દીધા હતા ત્યારે તાજેતરમાં ફરી એકવાર ભાજપ દ્વારા તડજોડ કરવાની રાજનીતિ સામે આવતા કોંગ્રેસ હરકતમાં આવ્યું છે.