ભાવનગરઃ ઘોઘા-દહેજ વચ્ચે શરૂ થયેલી રોપેક્ષ સેવા ડિસેમ્બર માસથી હજીરા સુધી લંબાવવામાં આવશે તેવી જાહેરાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રોપેક્ષના લોકાર્પણ સમયે કરી હતી. પરંતુ આ સેવા શરૂ થવા ઉપર અનિશ્ચિતતાના વાદળો ઘેરાયા છે. એટલું જ નહીં રોપેક્ષ સેવા ટેક્નિકલ ખામીના કારણે બંધ કરાયા બાદ શરૂ કરાયેલી પેસેન્જર સેવા પણ બંધ કરી દેવાતા લોકોને આ સેવા ઉપરથી વિશ્વાસ ઉઠી ગયો છે. એટલુ જ નહિ કંપનીએ લોકોને આજ સુધી રિફન્ડ પરત ના કરતા સરકાર ખાનગી કંપની મારફતે લોકો સાથે છેતરપિંડી કરી રહી છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. જો કે કંપનીના અધિકારીઓ આ મામલે મીડિયાથી દૂર ભાગી રહ્યા છે અને આ સેવા ક્યારે શરૂ થશે તે કહેવા અસમર્થ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઘોઘા-દહેજ વચ્ચે કાયમી રીતે રો-રોફેરી સેવા ચાલે તેવું સ્વપ્નું છે. પરંતુ ક્યાંકને ક્યાંક આ ફેરીને ટેક્નિકલ ખામીનું નામ આપીને બંધ કરી દેવામાં આવે છે. જેથી સપનું અધૂરું રહેશે તેમ મનાઈ રહ્યું છે. સરકારે 600 કરોડ જેવી રકમ આ પ્રોજેક્ટ પાછળ ખર્ચી છે પરંતુ પૂરતું વળતર મળ્યું નથી. જે કામ 15 માસમાં કરવાનું હતું તે કામ 75 માસે પૂરું થયું. પરંતુ જે સેવાનો લાભ લોકોને મળવો જોઈએ તેવો મળતો નથી.
27 નવેમ્બરે મધદરિયે જહાજ બંધ પડી જતા રોપેક્ષ સેવા બંધ કરી દેવામાં આવી હતી. બાદમાં અહીં પેસેન્જર સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ તેને પણ ડ્રેજીંગનો પ્રશ્ન આડે આવતા આ સેવા પણ બંધ કરી દેવામાં આવી છે. આ સેવા ક્યારે શરુ થાય તે કહેવા સરકાર કે કંપની કોઈ તૈયાર નથી. કોંગ્રેસના અગ્રણીનું કહેવું છે કે રોરોફેરી સેવા બંધ છે તો પછી તેનું ઓનલાઇન બુકીંગ શા માટે ચાલુ રાખવામાં આવ્યું છે. તેમનો આક્ષેપ છે કે સરકાર ખાનગી કંપનીને આગળ ધરી લોકો સાથે છેતરપિંડી કરી રહી છે.
હજીરા સુધી લંબાવીશું પરંતુ આ વાત હવામાં ઓગળી...
મુખ્યમંત્રીએ ઘોઘામાં જાહેરાત કરી હતી કે આ સેવા ડિસેમ્બરમાં હજીરા સુધી લંબાવીશું પરંતુ આ વાત હવામાં ઓગળી ગઈ છે. ઓનલાઇન બુકીંગ માટે લોકો બુકીંગ કરાવી રહ્યાં છે. તેમાં 11 ડિસેમ્બર પછીનું બુકીંગ ખુલવા પામ્યું છે. જ્યારે આ સેવા બંધ થઈ ત્યારે લોકોને રિફન્ડ આપવાની વાત હતી. પરંતુ કંપનીએ આજ સુધી રિફન્ડ ન ચુકવતા બુકીંગ કરનારા લોકોમાં પણ રોષ ઉભો થવાં પામ્યો છે. બુકીંગનું કામ કરતા લોકોનું કહેવું છે કે અમારે લોકોને શુ જવાબ આપવો.
રોપેક્ષ સેવામાટે કરોડો રૂપિયાયનું સરકરે આંધણ કર્યું છે પરંતુ ઘોઘા અને દહેજમાં ડ્રેજીંગ ની સમસ્યા ઉકેલાવમાં સરાકર અને જીએમબી વિભંગ ઉણુ ઉતર્યું છે અને તેના કારણે આ સમસ્યા ઉભી થાય છે
ટૂંક સમયમાં થઇ જશે તેવી સરકારની ખાતરી
ભાવનગરના ભાજપના શહેર પ્રમુખનુ કહેવું છે કે અગાઉ ભલે 9 ડિસેમ્બરે રોરોફેરી સેવા શરૂ થવાની જાહેરાત કરાઈ હોઈ પરંતુ આજના દિવસે આ શક્ય નથી લાગતું. વધુમાં તેમણે કહ્યું કે અમે સરકારમાં રજુઆત કરી છે કે આ સેવા દહેજ નહીં પરંતુ હજીરા સુધી ચાલુ કરવી જોઈએ અને તે ટૂંક સમયમાં થઇ જશે તેવી સરકારે અમને ખાતરી આપી છે.
ભાવનગર સહિત સૌરાષ્ટ્રને દક્ષિણ ગુજરાત સાથે જોડવા માટેની આ દરિયા માર્ગની સૌથી સર્વે શ્રેષ્ઠ કડી છે. પરંતુ સ્થાનિક નેતાઓની રાજકીય ઈચ્છા શક્તિનો અભાવ અને અંદરો અંદરની ખેંચતાણના કારણે આ સેવાને વારંવાર ગ્રહણ નડે છે તે નક્કી છે. તો બીજીબાજુ સરકારી નિયમોની આંટીઘૂંટી અને આર્થિક રીતે આ સેવા પરવડતી ના હોય કદાચ આ સેવા ઉપર કંપની પણ કાયમી પૂર્ણ વિરામ મુકી દેશે તેવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે.