બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરની અસ્થિઓ રવિવારે બાણગંગામાં વિસર્જિત કરવામાં આવી હતી. 2 વર્ષ સુધી કેન્સર સામે જંગ લડ્યા બાદ ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરે 30 એપ્રિલે નિધન થયું હતું. તેમના નિધનથી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીને મોટો ઝટકો લાગ્યો હતો. તેમના મોટા ભાઈ રણધીર કપૂરે જણાવ્યું કે, અસ્થિ વિસર્જનની પૂજા માટે પ્રશાસને તેમને હરિદ્વાર જવાની મંજૂરી આપી નહીં, જેથી બાણગંગામાં અસ્થિ વિસર્જન કર્યું હતું. જેની કેટલીક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યાં છે.
ઋષિ કપૂરના અસ્થિ વિસર્જનના કેટલાક વીડિયો અને તસવીરોમાં રણબીર કપૂર અને નીતૂ કપૂર ઘાટના કાંઠે પૂજા કરતા જોવા મળી રહ્યાં છે. તેમની સાથે રણબીરનો મિત્ર અયાન મુખર્જી પણ ત્યાં જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, આ પહેલાં ઋષિ કપૂરની પ્રાર્થના સભા યોજી હતી. જેમાં વધુ લોકો સામેલ નહોતા થયા. જ્યારે ઋષિ કપૂરની દીકરી રિદ્ધિમા પ્રાર્થના સભામાં સામેલ થઈ હતી. લોકડાઉનને કારણે રિદ્ધિમા ઋષિ કપૂરના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકી નહોતી.
તમને જણાવી જઈએ કે, ઋષિ કપૂરે ન્યૂયોર્કમાં એક વર્ષ સુધી ઈલાજ કરાવ્યા બાદ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ભારત પરત આવ્યા હતા. પછી ફેબ્રુઆરીમાં તેમને બેવાર હોસ્પિટલમાં એડમિટ કરવામાં પડ્યા હતા. ત્યારબાદ 29 એપ્રિલે તેમની તબિયત વધુ બગડતા તેમને હોસ્પિટલમાં એડમિટ કરાયા અને 30 એપ્રિલે તેમનું નિધન થઈ ગયું.