ગુજરાતમાં વાવાઝોડુ ત્રાટકવાની શક્યતાને લઈને ડિઝાસ્ટરની બેઠક મળી હતી. મહેસુલ વિભાગના અધિક સચિવની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. મળતી માહિતી મુજબ અરબી સમુદ્રમાં લો પ્રેશર બનવાના કારણે ગુજરાતના દરિયાકાઠાંના વિસ્તારોમાં વાવાઝોડું ત્રાટકે તેવી શક્યતા સેવાઈ રહી છે. જેને લઈને 90થી 110 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.
ડિઝાસ્ટર વિભાગની આ બેઠકમાં NDRF અને SDRF તેમજ ઈસરો અને નેવીના અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે વાવાઝોડાના ખતરાને લઈને NDRF ટીમને તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્રમાં વાવાઝોડા મામલે પંકજ કુમારનું નિવેદન
બેઠક બાદ મહેસુલ વિભાગના અધિક સચિવ પંકજ કુમારની પત્રકાર પરિષદ યોજી હતી. સૌરાષ્ટ્રમાં વાવાઝોડા મામલે પંકજ કુમારનું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં સઆઈક્લોનની અસર થશે. વેરાવળથી 930 કિમિ દૂર સમુદ્રમાં ડિપ્રેશનની અસર છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાઈક્લોનની અસર થશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાનો ખતરો છે. દરિયામાંથી મોટાભાગની બોટ પાછી આવી ગઈ છે. દરેક પોર્ટ પર 1 નંબરનુ સિગ્નલ જાહેર કરાયુ છે. જે બોટ પાછી નથી આવી તેનું મોનિટરિંગ ચાલુ છે. તમામ ગતિવિધીઓ પર રાજ્ય સરકારની નજર છે.
વધુમાં તેમણે કહ્યું કે, કોસ્ટગાર્ડ, આર્મી, NDRF, એરફોર્સ સાથે ચર્ચા થઈ છે. દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટરોને અલર્ટ કરાયા છે. પ્રવાસીઓને દરિયા કાંઠે નહી જવા માટે સુચનો કરાયા છે. બચાવકાર્યો માટે ગુજરાતની 15 ટીમ મોકલવામાં આવશે. અન્ય રાજ્યોની ટીમોની પણ બચાવકાર્ય માટે મદદ લેવાશે. અમદાવાદ આર્મી, ધાંગધ્રા અને કચ્છની આર્મીને અલર્ટ અપાયા છે. દરિયાકાંઠાના ગામડાઓને જરૂર જણાતા ખાલી કરાશે. આવતીકાલે ગામડાઓ ખાલી કરવા મુદ્દે નિર્ણય લેવાશે.
અરબી સમુદ્રમાં વાવાજોડા મામલે મુખ્યમંત્રીનું નિવેદન કર્યુ છે. તેમણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચન કર્યુ છે. તેમજ દરીયામાં ગયેલા માછીમારોને સુરક્ષિત જગ્યાએ જવા સુચન કર્યુ છે. તેમજ તંત્રને પણ વાવાઝોડાને લઈ એલર્ટ રહેવા માટે જણાવ્યુ છે. કોઈપણ જાતનું નુકશાન ન થાય તે માટે તેમણે સુચન કર્યુ હતું.
મહત્વનું છે કે, અરબી સમુદ્રમાં ઉઠેલા વાવાઝોડાના કરણે વાતાવરણમાં પલટો આવ્યો છે. જેને લઇ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર દરિયાકિનારાઓ પર સાવચેતીનું સિગ્નલ આપવામાં આવ્યું છે. સમુદ્રમાં હવાના દબાણને પગલે પોરબંદર પોર્ટ પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. જ્યારે અમરેલીના જાફરાબાદ બંદર પર ફિશરીઝ વિભાગ દ્વારા એક નંબરનું સિગ્નલ લગાવવામાં છે.
હવામાન વિભાગે સમુદ્રમાં પવન સાથે વાવાઝોડું આવે તેવી આગાહી કરી છે. ઉપરાંત માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે. તો મોરબીના નવલખી બંદર પર પણ એક નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો ગીર સોમનાથના જિલ્લા તંત્રને પણ અલર્ટ કરવામાં આવ્યુ છે. અને વેરાવળ બંદર પર પણ નંબર-1નું સિગ્નલ આપવામાં આવ્યુ છે.