સરકારી કર્મચારીઓને લઇ મોટા સમાચાર સામે આવ્યાં છે. ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકાર સરકારી કર્મચારીઓની નિવૃત્તિ વય અને પેન્શનની રકમ વધારવા પર વિચાર કરી રહી છે.
સરકારી કર્મચારીઓને મોદી સરકાર આપશે મોટી ભેટ
પેન્શન રકમ અને નિવૃત્તિની ઉંમરમાં વધારો કરે તેવી શક્યતા
સીનિયર સિટીઝનની સુરક્ષા વધારવા ભલામણ
એ માટેનો પ્રસ્તાવ (Universal Pension System) આર્થિક સલાહકાર સમિતિ દ્વારા વડાપ્રધાનને પણ મોકલવામાં આવ્યો છે. જેમાં દેશમાં લોકોની કામ કરવાની વય મર્યાદા વધારવાની વાત કરવામાં આવી છે. આ સાથે પીએમની આર્થિક સલાહકાર સમિતિએ કહ્યું કે, 'દેશમાં નિવૃત્તિની ઉંમર વધારવાની સાથે-સાથે યુનિવર્સલ પેન્શન સિસ્ટમ પણ શરૂ કરવી જોઈએ.'
સીનિયર સિટીઝનની સુરક્ષા
સમિતિના રિપોર્ટ અનુસાર, આ સૂચન અંતર્ગત કર્મચારીઓને દર મહિને ઓછામાં ઓછાં 2000 રૂપિયા પેન્શન આપવું જોઇએ. તમને જણાવી દઈએ કે, આર્થિક સલાહકાર સમિતિએ દેશમાં વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે વધુ ને વધુ સારી વ્યવસ્થા કરવાની ભલામણ કરી છે.
સ્કિલ ડેવલપમેન્ટ છે ખાસ જરૂરી
રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું કે, 'જો કામ કરવાની ઉંમરની વસ્તી વધારવી હોય તો નિવૃત્તિની ઉંમર વધારવાની સખ્ત જરૂરિયાત છે. સામાજિક સુરક્ષા વ્યવસ્થા પર દબાણ ઘટાડવા માટે આવું કરી શકાય છે. રિપોર્ટમાં 50 વર્ષથી વધુ ઉપરના વ્યક્તિઓ માટે સ્કીલ ડેવલપમેન્ટની વાત પણ કરવામાં આવી છે.
સરકારો નીતિ બનાવો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકારોએ એવી નીતિઓ બનાવવી જોઈએ કે, જેથી સ્કીલ ડેવલપમેન્ટ થઈ શકે. આ પ્રયાસમાં અસંગઠિત ક્ષેત્ર, દૂરના વિસ્તારોમાં રહેતા લોકો, શરણાર્થીઓ, સ્થળાંતર કરનારાઓ પણ સામેલ હોવા જોઈએ કે જેમની પાસે તાલીમ મેળવવાનું સાધન નથી પરંતુ તેઓને તાલીમ આપવી જોઈએ.
વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 નો રિપોર્ટ
તમને જણાવી દઈએ કે, વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટસ 2019 અનુસાર, વર્ષ 2050 સુધીમાં ભારતમાં લગભગ 32 કરોડ વરિષ્ઠ નાગરિકો (સિનિયર સિટીઝન) હશે. એટલે કે દેશની લગભગ 19.5 ટકા વસ્તી નિવૃત્તિની કેટેગરીમાં જશે. વર્ષ 2019 માં ભારતની અંદાજે 10 ટકા વસ્તી અથવા તો 140 કરોડ લોકો સિનિયર સિટીઝનની કેટેગરીમાં છે.