ગુજરાતમાં ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે આકરો બની રહ્યો છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર આગામી 48 કલાક સુધી અંગ દઝાડતી ગરમીની આગાહી કરી છે.
ગરમીનો પ્રકોપ બે દિવસ રહેશે
48 કલાક રહેશે કાળઝાળ ગરમી
બે દિવસ બાદ ગરમીમાં મળશે રાહત
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થશે ઘટાડો
હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં આગામી 48 કલાક સુધી ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. જો કે, આ 2 દિવસ બાદ ગરમીમાં આંશિક ઘટાડો થવાના સંકેત છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી જેટલો ઘટાડો નોંધાઈ શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે થશે ઘટાડો
ઉલ્લેખનીય છે કે, એક તરફ રાજ્યના કાળઝાળ ગરમીનો માહોલ છે. અમદાવાદમાં ગરમીનો પારો 44ને પાર પહોંચી જતાં તંત્ર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો નાગરિકોને પણ બીનજરૂરી ઘરની બહાર ન નીકળવાની અપીલ કરાઈ છે. ત્યારે આગામી 2 દિવસ બાદ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગરમીમાં આંશિક રાહત મળશે.
પવનની દિશા ઉત્તર-પશ્ચિમ તરફની રહેતા પારો ઉચકાયો
મહત્વનું છે કે, અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં પવનની દિશા ઉત્તર-પશ્ચિમ તરફની રહેતા તાપમાનનો પારો ઉચકાઈ રહ્યો છે. જેને લઈને સમગ્ર રાજ્યમાં આકાશમાંથી અગનવર્ષા થતાં ગુજરાત ભઠ્ઠી બની ગયું છે. બીજી રાત્રે પણ ગરમ પવન ફૂંકાવાની સાથે તાપમાનનો પારો સામાન્યથી ઊંચો રહેવા પામે છે. આમ સતત પડી રહેલા કાળઝાળ ગરમીના કારણે ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
કયાં-કયાં અનુભવાશે હીટવેવ?
રાજ્યમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગમી 2 દિવસ દરમિયાન કચ્છમાં 2 ડિગ્રી તાપમાન વધી શકે તેમજ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ભરૂચ , મધ્ય ગુજરાતના ગાંધીનગર, ખેડા, વડોદરા, દાહોદ,અમરેલી, પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, સૌરાષ્ટ્રના જિલ્લાઓ અને કચ્છમાં હિટવેવની અસરો જણાશે. તેમજ ઉ.ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
અમદાવાદમાં કાળઝાળ ગરમી
અમદાવાદમાં કાળઝાળ ગરમી પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સુધી રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ૨જી મેથી ગરમીમાં આંશિક ઘટાડો થવાની શક્યતા છે. તેમ છતાં શહેરીજનો ભીષણ ગરમીમાં રીતસર શેકાઈ રહ્યા છે તેવા સમયે મ્યુનિ. સત્તાવાળાઓએ હીટ એક્શન પ્લાન અમલમાં મૂક્યો છે. આ પ્લાન હેઠળ લોકોને હીટ સ્ટ્રોકથી બચાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
ગ્રીન નેટ ધરાવતા વિસામા બનાવ્યા
લોકોને આકરી ગરમી સામે રક્ષણ આપવા તંત્ર રોડ સાઇડ ગ્રીન નેટની છત ધરાવતા 'વિસામા' બનાવી રહ્યું છે. આમ તો હીટ એક્શન પ્લાન હેઠળ શહેરનાં ભરચક ટ્રાફિક જંક્શનોને ગ્રીન નેટનાં આવરણથી ઢાંકીને વાહનચાલકોને ભીષણ ગરમી સામે સુરક્ષિત કરવાનો તંત્રનો આશય છે. જોકે તેનાથી જાહેર રસ્તાઓ પરના સીસીટીવી કેમેરાની કામગીરીને માઠી અસર થતી હોવાથી પોલીસ તંત્રે વાંધો ઉઠાવ્યો હતો એટલે હવે સત્તાવાળાઓ રણનીતિ બદલીને રોડ સાઇડ ગ્રીન નેટની છત ધરાવતા 'વિસામા' બનાવી રહ્યા છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં બનાવાયા વિસામા
નવરંગપુરાના આંબાવાડી બજાર, અખબારનગર, વાસણા શાકમાર્કેટ, મેઘાણીનગર શાકમાર્કેટ, કાલુપુર શાકમાર્કેટ, ખારુનાળા, ભટ્ટ ચોક, શાહીબાગમાં અંબાજી માતાનો વાસ, માધુપુરા મહાજન રોડ, માધુપુરા રામદેવ મસાલા, ખાડિયામાં પાંચકૂવા દરવાજા રોડ, ટંકશાળ રોડ, લોખંડ બજાર અને રતનપોળ વગેરે વિસ્તારોમાં તંત્રે લોકોને ગરમી સામે રાહત આપવા ગ્રીન નેટનું આવરણ આપ્યું છે. જોકે ગાંધીરોડના બાલા હનુમાન રોડ પર ગ્રીનને બદલે યલોનેટ લગાવાઈ છે. તંત્ર દ્વારા ઊભા કરાયેલા 'વિસામા' પૈકી કેટલાકમાં લોકો તેમનાં વાહન પાર્ક કરતા હોવાની ફરિયાદો પણ ઊઠી છે.
સ્લમ વિસ્તાર રૂફ કુલિંગની કામગીરી
મ્યુનિ. તંત્રના હીટ એક્શન પ્લાન હેઠળ સ્લમ વિસ્તારોનાં મકાનની છતને ચૂનો લગાડીને ત્યાંના રહીશોને ભીષણ ગરમી સામે રક્ષણ આપવા 'રુફ કૂલિંગ' પ્રોજેક્ટ હાથ ધરાયો છે, જેમાં દક્ષિણ ઝોનમાં જગદીશનાં છાપરાં, રામાનંદ કોટનાં છાપરાં, વણજારા વાસ, નીતિનગરનાં છાપરાંનાં કુલ 40 મકાન, મધ્ય ઝોનમાં શાહપુરની રાવતાજી ધોબીની પોળનાં 40 મકાન, પશ્ચિમ ઝોનમાં સોરાઈનગરનાં છાપરાં, સંજયનગરનાં છાપરા, દૂધાધારીનાં છાપરાં, જોગણી માતાની ચાલ, તપોવનગર પકોડીવાળાની ચાલીનાં 280 મકાન, ઉત્તર ઝોનમાં મફતનગરનાં છાપરાંનાં 40 મકાન, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં સોલા ગામનાં ઇન્દિરાનગરમાં 15 મકાન અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જોધપુર ગામ, બુટભવાની છાપરાં, નવી ભાઠા સ્કૂલ સામેનાં સ્લમ વિસ્તારનાં કુલ 62 મકાન મળીને કુલ 897 મકાનને રુફ કૂલિંગ કરાયું છે તેમ મ્યુનિ. હેલ્થ વિભાગના દક્ષિણ ઝોનના વડા ડો. તેજસ શાહ જણાવ્યું હતું.
ORSનું વિતરણ કરાયું
તંત્ર દ્વારા દક્ષિણ ઝોનમાં સૌથી વધુ 11,859, પૂર્વ ઝોનમાં 9891,ઉત્તર ઝોનમાં 9003, મધ્ય ઝોનમાં 4125, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 3189,પશ્ચિમ ઝોનમાં
2672, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 2360 મળીને કુલ 43099 ORSના પેકેટનું વિતરણ કરાયું.
750 પાણીની પરબ કાર્યરત કરાઈ
લોકોને ધોખધમતા તાપમાં પાણીની તરસ લાગે તે સ્વાભાવિક છે. મ્યુનિ. સત્તાવાળાઓએ શહેરમાં વિવિધ વિસ્તારોમાં 750 પાણીની પરબ શરૂ કરી છે. એએમટીએસ દ્વારા શહેરનાં તમામ બસ ટર્મિનસ પર પેસેન્જર્સ માટે પાણીની વ્યવસ્થા કરાઈ છે, જ્યારે બીઆરટીએસના મહત્ત્વનાં સ્ટેશનો પર ૨૦ લિટરનાં પાણીના જગ મુકાયા હોવાનો તંત્રએ દાવો કર્યો છે.