ગુજરાતમાં ગરીબ અને મધ્યમવર્ગના પરિવાર પણ પોતાનાં સંતાનોને સારી શાળામાં ગુણવત્તાસભર શિક્ષણ આપી શકે તે માટે સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અમલમાં છે, જેમાં આવકમર્યાદામાં આવતા પરિવારોને આરટીઇનો લાભ મળી શકે અને પોતાનાં સંતાનોને સારી શાળામાં શિક્ષણ અપાવી શકે. ૫ એપ્રિલથી રાજ્યભરમાં આરટીઇનાં ફોર્મ ભરવાનો પ્રારંભ થયો છે, જેને સ્વીકારવા કે ભરી આપવા માટે રિસિવિંગ સેન્ટર ઊભાં કરવામાં આવ્યાં છે.
રિસિવિંગ સેન્ટરના કર્મીઓની વાલીઓનાં ફોર્મ ભરી આપવાની જવાબદારી હોવા છતાં છટકી રહ્યા હોવાના કારણે વાલીઓને મજબૂરીના માર્યા નાછૂટકે નજીકના સાયબર કાફેમાં ફોર્મ ભરાવવા જવું પડે છે તેવો વાલીઓનો આક્ષેપ છે અને આરટીઇના ફોર્મ રિસિવિંગ સેન્ટરના બદલે સાયબર કાફેમાં ભરવા જવું પડે છે. સાયબર કાફેવાળા એક ફોર્મ ભરવા માટેના રૂ.૩૦૦થી પ૦૦ વસૂલે છે.
સેન્ટર પર ફરજ બજાવતા શિક્ષક કર્મચારીઓ વાલીઓને ફોર્મ ભરાવી આપવા માટે માર્ગદર્શન પૂરું પાડીને મદદરૂપ થવાના બદલે તેમને સાયબર કાફેમાં જવાની ભલામણ કરતા હોવાની વાલીઓ ફરિયાદ કરી રહ્યા છે. શિક્ષણ વિભાગના આંખ મિંચામણાંના કારણે સાયબર કાફેના સંચાલકોને મોકળું મેદાન મળી રહ્યું છે, જેનો ભોગ વાલીઓ બની રહ્યા છે. અગાઉનાં વર્ષોની તુલનાએ આ વર્ષે ફોર્મ ભરવા માટે માત્ર ૧૦ જ દિવસનો સમયગાળો આપવામાં આવ્યો છે. સમયગાળો ઓછો હોવાના કારણે રિસિવિંગ સેન્ટર પર વાલીઓનો ધસારો વધુ રહે છે.
ક્યારેક સર્વર ઠપ થઇ જાય છે તો ક્યારેક સાઇટ જ ખૂલતી નથી. આમાં અમારા જેવા ગરીબ લોકોનાં બાળકોને સારી સ્કૂલમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી શકે તેમ નથી. ઉપરાંત અમને કમ્પ્યૂટર આવડતું નથી. તેથી એક વારનો ખર્ચ માનીને સાયબર કાફેમાં ફોર્મ ભરવાના પૈસા ખર્ચી નાખીએ છીએ તેવું એક વાલીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું. આરટીઇ પ્રવેશ પ્રક્રિયા માટે ૫ એપ્રિલથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આ પ્રક્રિયા આગામી ૩ દિવસ સુધી ચાલશે. ફોર્મ ભરવાની છેલ્લી તા. ૧૫ એપ્રિલ છે તેમાં વધારો કરવાની માંગ ઉઠી છે.