ગુજરાતના ખેડૂતો ખાતરના ભાવ વધારાને લઈને આક્રોશમાં છે ત્યારે મંત્રી આરસી ફળદુ કહી રહ્યા છે કે કંપનીઓને હવે પોષાતું નથી એટલે ભાવ વધ્યા છે.
ખાતરના ભાવના કારણે સરકારે મૌન તોડ્યું
કંપનીઓને પોષાતું નથી - રાજ્ય કૃષિમંત્રી
નજીકના ભવિષ્યમાં આનો ઉકેલ આવશે : ફળદુ
ખેડૂતો હેરાન પરેશાન
ગુજરાત સહિત આખા દેશ પર કોરોના વાયરસનું સંકટ છે અને આવા સંકટમાં ગરીબ તથા મધ્યમ વર્ગને જોરદાર ફટકો પડ્યો છે એવામાં રાજ્યના ખેડૂતોને રાસાયણિક ખાતરના ભાવવધારાનો બમણો માર પડી રહ્યો છે. રાજ્યના મંત્રીઑએ આ પહેલા દાવા કર્યા હતા કે ખાતરના ભાવ વધારા થશે નહીં પરંતુ હવે તે જ મંત્રી આ ભાવવધારાનો લૂલો બચાવ કરી રહ્યા છે જેના કારણે ગુજરાતના ખેડૂતોને જોરદાર ઝટકો લાગ્યો છે.
મંત્રીએ કહ્યું કંપનીઓને પોષાતુ નથી
ખાતરના ભાવ વધારા બાબતે કેન્દ્ર અને રાજ્ય સરકાર ઘેરાઈ છે. ચૂંટણી બાદ કંપનીઓએ ભાવ વધારો કરી દેતા ખેડૂતો રોષે ભરાયા છે. ભાવ વધારા બાબતે થયેલ વિરોધને લઇને રાજ્ય સરકારે મૌન ધારણ કરી લીધું હતું. ચારે તરફથી વિરોધ ઉઠતા રાજ્ય સરકારે મોન ખોલ્યું છે. કેબીનેટ કૃષિ મંત્રીએ ખેડૂતોનો બચાવ કરવાના બદલે કંપનીઓ તરફી વાણી ઉચ્ચારતા આશ્ચર્ય સર્જાયું છે. ખાતર ઉત્પાદનમાં લાગત વધી જતા કંપનીઓને ભાવ વધારો કરવો પડ્યો હોવાનું રાજ્ય સરકારે અંતે જાહેર કર્યું છે. હાલની સ્થિતિ મુજબ કંપનીઓને પોષાતું નથી એમ જણાવી કૃષિ મંત્રી ભાવ વધારા મુદ્દે પ્રધાનમંત્રી સમક્ષ લઇ નિરાકરણ કરવામાં આવશે એવો આશાવાદ સેવ્યો છે.
પોતાના જૂના નિવેદન પર પણ આપી સ્પષ્ટતા
આરસી ફળદુએ પોતાના જૂના નિવેદન પર પણ સ્પષ્ટતા આપી, તેમણે કહ્યું કે મને યાદ છે કે મેં જ્યારે નિવેદન કર્યું હતું ત્યારે બિલકુલ સ્પષ્ટ નિવેદન કર્યું હતું, મારા શબ્દો શોધી લેજો. મેં કહ્યું હતું કે આજના તબક્કે કંપનીઓ ભાવવધારા કરવાના નથી પરંતુ ભાવ હવે તેમને પોશાતો નથી. મેં ત્યારે મનસુખ માંડવીયા સાથે વાત કરી હતી. અત્યારે પરામર્શ ચાલી રહ્યો છે, નજીકના ભવિષ્યમાં આનો પણ સુખદ ઉકેલ આવશે.
કેન્દ્ર આપે છે સબસિડી : ફળદુ
આરસી ફળદુએ કહ્યું કે યુરિયાની બેગ 290 રૂપિયામાં માર્કેટમાં મળે છે, પરંતુ ભારત સરકારને તે 1200 રૂપિયામાં પડતર થાય છે. 900 રૂપિયા જેટલી સબસિડી આપે છે ભારત સરકાર, એકલા ગુજરાતમાં ખેડૂતોએ જે ખાતર વાપર્યા તેમાં ભારત સરકારે 5900 કરોડ રૂપિયા તો સબસિડી આપી છે.