ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર CSK સંબંધિત પોસ્ટ હવે દેખાતી નથી.
CSK સાથે રવીન્દ્ર જાડેજાના સંબંધો પૂરા?
સોશ્યલ મીડિયા પરથી હટાવી પોસ્ટ
ચોંકી ઉઠ્યા ફેન્સ
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના સંબંધો IPL ટીમ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સાથે સારા દેખાઈ રહ્યા નથી. હાલમાં જ તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી CSK સાથે સંબંધિત IPL 2021 અને 2022ની તમામ પોસ્ટ હટાવી દીધી છે. જાડેજાના આ પગલા બાદ ક્રિકેટ ફેન્સ સોશિયલ મીડિયા પર ઘણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફેન્સ તો એમ પણ કહી રહ્યા છે કે આગામી સિઝનમાં જાડેજા બીજી ટીમની જર્સીમાં આઈપીએલ રમતા જોવા મળશે.
જાડેજાને બનાવવામાં આવ્યો હતો કેપ્ટન
રવીન્દ્ર જાડેજાને IPL 2022માં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. જો કે તેની કેપ્ટનસીમાં CSKનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું. ટીમને 8માંથી 6 મેચ હારવી પડી હતી. જાડેજા પોતે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો.
જાડેજા તેના બોલ પર વિકેટ તો બહુ દૂરની વાત પરંતુ તે રન પણ રોકી શક્યા ન હતા. બેટિંગમાં પણ તે લયમાં દેખાતો નહોતો. તેણે 8 મેચ બાદ જ કેપ્ટન્સી છોડી દીધી હતી. આ પછી તેણે ધોનીની કેપ્ટન્સીમાં 2 મેચ રમી અને પછી ઈજાના કારણે બાકીની ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો.
સંબંધોમાં આવી ખટાશ?
જ્યારે જાડેજા ઈજાના કારણે IPLમાંથી બહાર થયો ત્યારથી અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે તેની અને CSK ફ્રેન્ચાઈઝી વચ્ચે બધુ બરાબર નથી. હવે જાડેજાના આ પગલાએ સંકેત આપ્યો છે કે તેના અને CSK વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
ઈંગ્લેન્ડ સામેની મેચમાં શાનદાર સદી ફટકારી
રવિન્દ્ર જાડેજાએ તાજેતરમાં જ ઈંગ્લેન્ડ સામેની એજબેસ્ટન ટેસ્ટમાં શાનદાર સદી ફટકારી હતી. આ સદી પછી, જ્યારે તેને IPL 2022 સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેનો જવાબ CSK સાથે મતભેદ તરફ ઈશારો કરતો જોવા મળ્યો.
તેણે કહ્યું હતું કે, 'જે થયું તે થયું. આઈપીએલ મારા મગજમાં નહોતું. જ્યારે પણ તમે ભારત માટે રમો છો, ત્યારે તમારું સંપૂર્ણ ધ્યાન ભારતીય ટીમ પર હોવું જોઈએ. મારી સાથે પણ એવું જ હતું. ભારત માટે સારૂ પ્રદર્શન કરવાના સંતોષ જેવું બીજુ કાંઈ નથી.'