ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ક્રિકેટર રોહિત શર્મા વચ્ચે મતભેદની અટકળોને ફગાવી મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે દ્રષ્ટિકોણમાં અંતર હોય તો તેને મતભેદના રૂપે ન જોવું જોઇએ.
પહેલા પણ બંને સીનિયર ખેલાડીઓ વચ્ચે કથિત મતભેદના સમાચારને બકવાસ ગણાવ્યો છે. રવિ શાસ્ત્રીએ 'ગલ્ફ ન્યૂઝ'ને કહ્યું, 'ટીમમાં જ્યારે 15 ખેલાડી હોય છે તો હંમેશા એવો સમય આવે છે જ્યારે દ્રષ્ટિકોણમાં ભિન્નતા હોય છે. તેની જ જરૂર છે. હું નથી ઇચ્છતો કે તમામ એક જ વાત બોલે.' એમણે કહ્યું કે, ચર્ચા થવી જોઇએ અને ત્યારે જ કોઇ નવી રણનીતિ વિશે વિચારી શકે છે જેને પ્રોત્સાહન આપવું જોઇએ. તેથી આપે ખેલાડીઓને પોતાની જાતને અભિવ્યક્ત કરવાની તક આપવી પડશે, ત્યારબાદ નિર્ણય લેવો જોઇએ કે શું સર્વશ્રેષ્ઠ છે.'
રવિ શાસ્ત્રીએ કહ્યું, 'ક્યારેક તે ટીમનો સૌથી જૂનિયર ખેલાડી હોઇ શકે છે જે એવી રણનીતિ સામે રજૂ કરી શકે છે જેના વિશે આપણે વિચાર્યું પણ નહીં હોય અને આપણે તેના પર વિચારવાની જરૂર છે. તેથી એને મતભેદના રૂપે ન જોવું જોઇએ.
ટી-20 વર્લ્ડકપ 2021 સુધી ફરી ભારતીય ટીમના કોચ નિયુક્ત કરવામાં આવેલા રવિ શાસ્ત્રીએ કહ્યું કે જો કોહલીની સાથે ગંભીર મતભેદ હોત તો રોહિત વર્લ્ડ કપ 2019માં પાંચ સદી ન ફટકારી શક્યો હોત. રવિ શાસ્ત્રીએ કહ્યું હું છેલ્લા પાંચ વર્ષથી ડ્રેસિંગ રૂમનો ભાગ છું. મેં જોયું છે કે પ્લેયર કેવી રીતે રમી રહ્યા છે અને તે કેવી રીતે ટીમને મજબૂત બનાવી રહ્યા છે અને તેમને પોતાના કામની નૈતિકતા જાણે છે. મને લાગે છે કે આ બિલકુલ બકવાસ છે.
નોંધનીય છે કે ભારતીય ટીમના કેરેબિયન પ્રવાસ પર રવાના થતા પહેલા કોહલીએ મતભેદ હોવાના સમાચારોનું ખંડન કર્યું હતું.