ભગવાન જગન્નાથ જળયાત્રા યોજીને મામાના ઘરે પહોંચ્યા, જ્યાં ભવ્ય સ્વાગત વિધી સાથે ભાણેજ જગન્નાથનું સરસપુરમાં આગમન થયું હતું
જળયાત્રાની ભવ્ય ઉજવણી
108 કળશ સાથે વિધિ થઈ
ભગવાન જગન્નાથ પહોંચ્યા મોસાળ
અમદાવાદમાં યોજાનાર જગન્નાથની રથયાત્રા પહેલા આજે જળયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. સવારે આઠ વાગ્યાથી ભગવાન જગન્નાથની જળયાત્રા જમાલપુર મંદિરેથી સાબરમતી રિવરફ્રન્ટ પહોંચી હતી.સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે મંત્રોચ્ચાર સાથે ગંગાપૂજન કરવામાં આવ્યું હતું.ત્યાર બાદ સાબરમતીના મધ્યેથી 108 કળશમાં જળ ભરીને નિજ મંદિરે લાવવામાં આવ્યું.અને આ 108 કળશથી ભગવાન જગન્નાથનો જળાભિષેક કરવામાં આવ્યો. ત્યાર બાદ ભગવાનની શોડષોપચાર પૂજા થઈ અને આરતી બાદ ભગવાન જગન્નાથને મોસાળ મોકલવામાં આવ્યા હતા.
મોસાળમાં ભગવાન જગન્નાથનું ભવ્ય સ્વાગત કરાયું
ભગવાન જગન્નાથની 145મી રથયાત્રાનો શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો છે.ભગવાન જગન્નાથ જળયાત્રા યોજીને મામાને ઘરે સરસપુર પહોંચી ગયા છે. ભવ્ય સ્વાગત વિધી સાથે ભાણેજ જગન્નાથનું સરસપુરમાં આગમન થયું હતું. 15 દિવસ સુધી ભગવાન જગન્નાથ સરસપુરમાં રોકાણ કરશે પછી નીજ મંદિર પધારશે.મોસાળમાં ભગવાનને ખૂબ લાડ લડાવવામાં આવશે તો જ ધૂન ગરબા અને જાત જાતના ભોજન પીરસવામાં આવશે. આનંદના ગરબાનું પણ આયોજન કરવામાં આવશે.
સરકારે સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા બેઠક યોજી
રાજ્યમાં જગન્નાથની 145મી રથયાત્રાને લઈ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ રથયાત્રાને લઈ રાજ્ય સરકારે એક મહત્વની બેઠક પણ યોજી હતી. જેમાં સુરક્ષા વ્યવસ્થાના આયોજનને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. ગૃહ રાજ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ રથયાત્રા શાંતિ અને સોહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે અંગે અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.
145મી રથયાત્રા હર્ષોઉલ્લાસથી યોજાશે
મહત્વનું છે કે કોરોના મહામારીને કારણે બે વર્ષ રથયાત્રાનું રંગેચંગે આયોજન થઈ શક્યું નહોતું. માત્ર ધાર્મિક વિધિ પ્રમાણે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્ષે કોરોના નહિવત કેસો હોવાને પગલે ભવ્ય રીતે ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા યોજાવાની છે. રથયાત્રા પહેલાં મહત્ત્વપૂર્ણ ઉત્સવ વિધિ ''જળયાત્રા’ આજે જમાલપુર જગન્નાથજી મંદિરેથી નીકળી સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગાપૂજન કરવા વરઘોડા રૂપે પહોંચી હતી.જે બાદ સરસપુર મોસાળમાં ભગવાન પધાર્યા હતા.