અમદાવાદના ન્યૂ રાણીપ અને રાણીપને જોડતા અંડરબ્રિજનું કામ પૂર્ણ ન થતા કંટાળેલા સ્થાનિકોએ જાતે જ બ્રિજનું લોકાર્પણ કરી દીધુ
રાણીપ અન્ડરપાસનું લોકોએ કર્યું લોકાર્પણ
અન્ડરપાસ અધૂરો છતાં શરૂ કર્યો ઉપયોગ
2 મહિનાથી કામકાજ બંધ હોવાથી લોકોમાં રોષ
અમદાવાદમાં ઠેર ઠેર વિકાસના કામો ચાલી રહ્યા છે. ક્યાંક ઓવરબ્રિજ તો ક્યાંક મેટ્રો ટ્રેનની કામગીરી ચાલી રહી છે. પરિણામે વાહનચાલકો સખત મુશ્કેલી અનુભવી રહ્યા છે.એક તો રસ્તા બંધ હોય એટલે ફરી ફરીને જવુ પડે અને ટ્રાફિકમાં સમય બગડે એ અલગ. ત્યારે રાણીપના સ્થાનિકો આ બધી મુશ્કેલીથી ત્રસ્ત થઇને જોતે જ અંડરપાસનું લોકાર્પણ કરી દીધુ. ત્યારે વિચારો કે અંડરપાસની કામગીરીથી એવા તો કેટલા કંટાળ્યા હશે લોકો.
3 વર્ષથી ચાલી રહ્યુ હતુ કામ
અમદાવાદમાં ન્યૂ રાણીપ અને રાણીપનો જોડતા અંડરપાસનું કામ છેલ્લા 3 વર્ષથી ચાલી રહ્યુ છે. 3 વર્ષ બાદ અંડરપાસ શરુ કરવાને બદલે છેલ્લા બે મહિનાથી કામકાજ સંપૂર્ણ બંધ હતુ. પરિણામે રોષે ભરાયેલી જનતાની ધીરજ ખૂટી અને જાતે જ લોકાર્પણ કરી દીધુ. અંડરપાસ રેલવે ટ્રેક નીચેનો ભાગ બનીને તૈયાર થઇ ગયો છે પરંતુ બંને બાજુ રસ્તાનું કામ હજુ બાકી છે. તેમ છતાં જનતાએ અંડરપાસનો ઉપયોગ કરવાનું શરુ કરી દીધુ.
આખરે ધીરજ ખૂટી ગઇ
એક તરફ અંડરપાસની કામગીરી 3 વર્ષ ચાલી. હજુ પણ કામ પુરુ કર્યુ નહી તેમાં પણ બે મહિનાથી કામકાજ સંપૂર્ણ બંધ રહ્યુ એટલે પ્રજાનો પારો સાતમા આસમાને પહોંચી ગયો. જનતાનુ કહેવુ છે કે આ અંડરપાસ બંધ રહેવાથી અમારે 3 કિલોમીટર ફરીને જવુ પડે છે. બલોલ નગર બ્રિજની થઇને લોકોએ જવુ પડતુ હતુ. વળી વિદ્યાર્થીઓને પણ શાળાએ જવા મુશ્કેલી વેઠવવાનો વારો આવે છે.
અંડરબ્રિજનું કામ ક્યારે થશે પૂર્ણ ?
ત્યારે અહીં સવાલ એ થાય કે વિકાસના કામોમાં આટલી લાપરવાહી શા માટે. ?3 વર્ષથી કામ ચાલી રહ્યુ છે પરંતુ તેને પૂર્ણ ક્યારે કરાશે. ? રોષેભરાયેલી જનતાએ તો અંડરપાસમાં અવરજવર શરુ કરી દીધી પરંતુ તંત્ર શું આવી રીતે જ ચાલવા દેશે. ? ક્યારે બાકીનું કામ પૂર્ણ કરવામાં આવશે. ? બંને બાજુના રસ્તા બાકી છે તે ક્યારે પુરા કરવામાં આવશે.? અધવચ્ચે આવુ કામ શા માટે મૂકી દેવામાં આવે છે. શું તંત્રને પ્રજાની પડતી હાલાકી દેખાતી નથી.? કામચલાઉ ધોરણે વપરાશ શરુ તો કર્યો પરંતુ જો કોઇ દુર્ઘટના ઘટી તો જવાબદાર કોણ ?