રાજ્યમાં ક્રાઇમરેટ સતત વધી રહ્યો છે. લૂંટ, ચોરી, છેતરપિંડી, હત્યા અને બળાત્કારની ઘટનાઓ ચોતરફ બનતી નજરે પડી રહી છે. તેવામાં રાજુલામાં દોઢ કરોડની છેતરપિંડીની ઘટના સામે આવી છે.
રાજુલામાં દોઢ કરોડની છેતરપીંડીની નોંધાઇ ફરિયાદ
2 કંપનીની વેબસાઇટમાં રોકાવ્યા હતા નાણાં
રાજુલા પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી
રાજકોટના સંજય ઉર્ફે સંજુ મેરાણીએ તેમના માસીભાઈ આસીફ રાણપુરીને વિશ્વાસમાં લઇને માહી પ્રોડક્ટ અને ગોમાર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની 2 કંપનીની વેબસાઈટમાં નાણાં રોકવા પર ઉંચુ વળતર મેળવવાની લાલચ આપી હતી. રાજકોટનો યુવક સંબંધી થતો હોવાથી તે વિશ્વાસમાં આવ્યો અને વર્ષ 2015થી 2016ના વર્ષમાં રાજુલાના શખ્સે અને તેના મિત્રો પાસે 1.80 કરોડ જેટલી રકમનું રોકાણ કરાવ્યું હતું.
શરૂઆતના દિવસોમાં વળતરની રકમ પણ ચૂકવવામાં આવતી હતી. જેમાં વળતર પેટે રૂ. 33.42 લાખ ચૂકવ્યા હતા. જોકે આ સ્કીમ ચાલુ હતી તે દરમિયાન નોટબંધી થઇ હતી. ત્યારબાદથી સંજુએ રોકાણકારોને વળતર આપવાનું બંધ કરી દીધું હતું. રોકાણકારોએ વળતરની માંગ કરી અને ઉઘરાણી કરતા તે બાકીની રકમ આપવાના વાયદા કરતો હતો. જોકે હવે રોકાણકારો સાથે છેતરપિંડી થઇ હોવાનું માલુમ પડતા તેમણે રાજુલા પોલીસ સ્ટેશમાં સંજય મેરાણી વિરૂદ્ધ 1.47 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. હાલ PI આર.એમ.ઝાલાએ તપાસ હાથ ધરી છે.