ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક સામાન્ય જનતા પર બેફામ ચાલી રહ્યો છે, પરંતુ આવા લોકો પર પોલીસનો કંટ્રોલ જ ન હોય તેવા કિસ્સા સામે આવી રહ્યા છે.
યુવકને વ્યાજખોરોએ વ્યાજના ચક્રમાં ફસાવ્યો
વ્યાજના ચક્રમાં ફસાયેલા યુવકે પીધી ઝેરી દવા
અશોક મકવાણા નામના યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ
ગુજરાતમાં વ્યાજખોરોના ત્રાસના કિસ્સા વધી રહ્યા છે, ગરીબ અને મધ્યમવર્ગના લોકો આમાં સૌથી વધુ ભોગ બને છે. વ્યાજે લીધેલા નાણા પર વ્યાજનું વ્યાજ લેવામાં આવે છે અને મૂળ રકમ ચૂકવાયા બાદ પણ લોકોને વ્યાજના નામે રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવે છે. ત્યારે આ વ્યાજના ચક્રમાં ફસાયેલા યુવકને એટલો હેરાન કરવામાં આવે છે કે તે આત્મહત્યા કરવા માટે મજબૂર બની જાય છે. ત્યારે આવોજ એક કિસ્સો રાજકોટમાં બન્યો છે.
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ વધતો જોવા મળી રહ્યો છે. યુવકને વ્યાજખોરોએ વ્યાજના ચક્રમાં ફસાવ્યો હતો. ત્યારબાદ વ્યાજના ચક્રમાં ફસાયેલા અશોક મકવાણા નામના યુવકે ઝેરી દવા પીધી હતી. ત્યારબાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો, જોકે આ યુવકનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે પરિવારજનો દ્વારા વ્યાજખોરો પર ગંભીર આક્ષેપ લગાવવામાં આવી રહ્યા છે. યુવક 5 લાખનું દર મહિને 50 હજાર વ્યાજ ભરતો હતો. વ્યાજખોરો દ્વારા યુવકને ધમકી અપાતી હતી.
મૃતકના પિતા રાજુભાઇએ જણાવ્યું હતું કે, મારા દીકરાના માથે દેવું થઇ જતા દવા પીધી છે. તે ઇમિટેશનનું કામ કરતો હતો, રાજસ્થાનનો વેપારી ભાગી ગયો, જેને લઇને દોઢથી બે લાખનું દેવું થઇ ગયું. મારો દીકરો ઇમિટેશનનું કામ રાજસ્થાનના વેપારી પાસેથી લઇને બીજા લોકોને આપતો, વેપારી ભાગી જતા બીજા લોકો પૈસા ચૂકવવા કેટલાક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા. તેમાં તેને વ્યાજનું વ્યાજ ચડતું ગયું, જેને લઇને તેને આવું પગલું ભરવાનું થયું.
અમે 35000 લીધા હતા તેના 1 લાખ ભર્યાઃ મૃતકના પિતા
વધુમાં મૃતકના પિતાએ કહ્યું કે, એક ભીમાભાઇ પાસેથી 35 હજાર લીધા હતા, તેમણે 10-15 ટકા વ્યાજે પૈસા આપેલા. જો 2 દિવસમાં હપ્તો ન પહોંચે તો ભરવાના 3000 હોય તેના બદલે 5000 પેનેલ્ટી લગાડતા હતા, સીધા ડબલ રૂપિયા લેતા. અમે 35000 લીધા હતા તેના 1 લાખ ભર્યા. તો ભરતભાઇ સાનિયા પાસેથી 25000 રૂપિયા લીધા. જેમાં દરરોજના 500-700 ભરવાના, જો 2 દિવસમાં પૈસા ન પહોંચે તો 1000-2000 બીજા ચડાવી દેવાતા. તેને લઇને દીકરો લેણામાં ડૂબતો ગયો. મૃતકના પિતાએ શબીરભાઇ નામના વ્યક્તિ પર પણ આક્ષેપ કર્યા હતા.
વ્યાજખોરોને કોણ છાવરી રહ્યું છે?
ત્યારે સવાલ થાય છે કે, વ્યાજખોરો પર લગામ ક્યારે લાગશે? શું વ્યાજખોરોને પોલીસનો કોઇ ડર જ નથી? વ્યાજખોરોને ધમકી આપવાની હિંમત કેમ વધી રહી છે? વ્યાજખોરોના ત્રાસથી આપઘાત વધી રહ્યાં છે છતાં કાર્યવાહી કેમ નહીં? લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવતા વ્યાજખોરો પર કડક કાર્યવાહી ક્યારે? વ્યાજખોરોને કોણ છાવરી રહ્યું છે? વ્યાજખોરોના ત્રાસ પર પોલીસ કેમ ચુપ ? ક્યારે બંધ થશે વ્યાજખોરોનો ત્રાસ ? વ્યાજખોરોની દાદાગીરી ક્યારે બંધ કરવાશે પોલીસ ? શું પોલીસ અને વ્યાજખોરો સામે સાંઠગાંઠ છે? લોકોને વ્યાજખોરોના ત્રાસથી ક્યારે મળશે રાહત?