સતત 2 દિવસથી રાજકોટના પંથકમાં વરસાદી ઝાપટાં પડી રહ્યા છે. આજે સરધારમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો
કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગની આગાહી
28 અને 29 મેના માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
ગુજરાતમાં 2 દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેને જોતાં મોડી સાંજે રાજકોટના સરધાર પંથકમાં ગાજવીજ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. પ્રિમોન્સુન એક્ટિવિટી સક્રિય થતાં મેઘો મહેરબાન થયો હતો ગરમીમાંથી સરધારવાસીઓ રાહત મળી હતી. તો બીજી તરફ બાજરી-તલ સહિતના ઉનાળું પાકને નુકસાન થતા ખેડૂતોમાં ચિંતા પેઠી છે.
વાપીમાં વહેલી સવારે પડ્યો હતો વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ વાપીમાં વહેલી સવારે વરસાદ પડ્યો હતો. 2 દિવસથી વાદળછાયા વાતાવરણ અને ગરમીસ વચ્ચે પહેલીવાર વરસાદ પડતાં લોકોએ ગરમી અને બફારાથી રાહત અનુભવી હતી. પણ વાપીમાં કેરી પક્વતા ખેડૂતોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા
હવામાન વિભાગની શું છે આગાહી
સૌરાષ્ટ્રમાં રાજકોટ અને અમરેલીમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ત્યારે બીજી બાજુ માછીમારોને પણ તારીખ 28 અને 29 મેના રોજ દરિયો ન ખેડવાની સૂચના આપી છે. જો કે આગામી પાંચ દિવસ હવામાન ભેજવાળું રહેતાં ગરમીથી રાહત મળશે. રાજસ્થાન ઉપર લો પ્રેશર ઉદ્દભવ્યું હોવાથી ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. જેના કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ પવનની ગતિ ૧૦થી ૧૫ કિ.મી. પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. તાપમાનમાં બેથી ત્રણ દિવસ કોઈ મોટો ફેરફાર પણ જોવા મળશે નહીં, પરંતુ પાંચ દિવસ બાદ રાજ્યનાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે. હાલ વાતાવરણ ભેજવાળું છે, પરંતુ વરસાદ આવે એટલા પ્રમાણમાં ભેજ નથી. હાલમાં કોઈ સ્ટ્રોંગ સિસ્ટમ સક્રિય નહીં હોવાથી વરસાદની શક્યતા નહિવત્ છે.
ગઈકાલે રાજકોટમાં અડધો ઇંચ થયો હતો વરસાદ
મંગળવારે હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. ત્યારે રંગીલા શહેર રાજકોટમાં વરસાદી ઝાપટું પડ્યું હતું. અડધો ઈંચ જેટલો વરસાદ પડતાં શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. રાજકોટના કુવાડવા રોડ અને અન્ય નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાઈ ગયા હતા. વરસાદ પડતાં રાજકોટ વાસીઓને ગરમીમાંથી થોડી રાહત મળી છે.
ગુજરાતમાં વહેલા ચોમાસાના સંકેત
જો કે રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં આ વર્ષ ચોમાસું વહેલું આવી પહોંચશે. ગુજરાતમાં આ વર્ષે ૨૦ જૂનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય તેવી સંભાવના છે. દેશમાં નૈઋત્યનાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. રાજ્યમાં મે મહિનાના અંત સુધી કાળઝાળ ગરમી યથાવત્ રહેશે, પરંતુ તેમાં સામાન્ય ઘટાડો થઈ શકે છે. કેરળમાં ૨૬મી મેના રોજ ચોમાસાનું આગમન થવાની શક્યતા છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં ૧૦થી ૧૫ જૂન વચ્ચે, તે પછી ૧૫થી ૨૦ જૂન દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે.