ગુજરાતમાં અનેક વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. તો ખોડલધામના ચેરમેન નરેશ પટેલે પણ એક આગવું કદમ કોરોનાને માત આપવા ઉઠાવ્યું છે. પોતાની જ પટેલ બ્રાસ કંપનીમાં એક સપ્તાહ સુધી સંપૂર્ણ રીતે સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. કોરોનાના કેસમાં રોજબરોજ વધારો થતો જાય છે. અને રાજકોટ જિલ્લામાં પણ દર્દીઓની સ્થિતિ બગડતી જાય છે. ત્યારે ખોડલધામના ચેરમેને કોરોનાને અટકાવવાનો પ્રયાસ પોતાના ઘરથી કર્યો છે.
મહત્વનું છે કે, એક સપ્તાહ પહેલા સમાચાર આવ્યા હતા કે, નરેશ પટેલ અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. જે બાદ તેમના પુત્રએ વીડિયો જાહેર કરીને સંદેશો આપ્યો હતો. તો હવે પોતાની કંપનીને લઈ નરેશ પટેલ અને તેમના પુત્ર શિવરાજે એક સહિયારો નિર્ણય કર્યો છે. આ કંપનીમાં 450 જેટલા કર્મચારી કાર્યરત છે. આમ છતાં એક સપ્તાહ સુધી કંપનીએ બંધનો નિર્ણય કર્યો છે. સાથે તમામ 450 કર્મચારીઓને પગાર પણ અપાશે. કોઈનો પગાર કપાશે નહીં.
તો ખોડલધામના નરેશ પટેલ પણ કોરોનાનો શિકાર બન્યા છે. 13 એપ્રિલે તેમના પુત્ર શિવરાજ પટેલે ચિંતા દર્શાવવા માટે આભાર માન્યો હતો. સાથે જણાવ્યું કે, તેમના માતા-પિતાની તબીયત સુધારા પર છે. નરેશ પટેલ અને તેમના પત્ની બંને કોરોના પોઝિટીવ થયા હતા.