કોરોનાનો પ્રકોપ અને લોકડાઉન બાદ હવે ધીમે ધીમે જનજીવન સામાન્ય થવા તરફ આગળ વધી રહ્યું છે. પરંતુ લોકડાઉનની શિક્ષણ કાર્ય પર હજુ પણ અસર છે. હાલ શાળાઓ દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ત્યારે ટ્યુશન ક્લાસીસ સંચાલકોની પરિસ્થિતિ કથળી રહી છે.
રાજકોટમાં ટ્યુશન કલાસીસના સંચાલકે પાણી પુરીની લારી કરી શરૂ
લોકડાઉન બાદ કલાસીસ શરૂ ન થતાં વ્યવસાય બદલ્યો
શિક્ષક જય કારીયાએ પાણીપુરીની કરી લારી ચાલુ
માર્ચ મહિનાથી શાળાઓ અને ટ્યુશન કલાસીસ બંધ છે. તેવામાં શિક્ષકો પાસે પણ રોજગારીનું કોઈ સાધન બચ્યું નથી. અત્યારસુધી શિક્ષકના હાથમાં તમે પુસ્તક અને ચોક કે બોલપેન જોયા હશે. પણ કોરોનાએ શિક્ષકોને પણ અન્ય ધંધા તરફ વાળી દીધા છે. રાજકોટમાં શૈક્ષણિક કાર્ય બંધ હોવાના કારણે ટ્યુશન કલાસીસ સંચાલકોની હાલત પણ કફોડી બની છે. આ જ કારણ છે કે શિક્ષકોએ હવે અન્ય ધંધા રોજગારી તરફ વળવાનો વારો આવ્યો છે.
રાજકોટમાં ટ્યુશન કલાસીસના સંચાલકે પાણી પુરીની લારી શરૂ કરી છે. લૉકડાઉન બાદ કલાસીસ શરૂ ન થતાં શિક્ષકે પોતાનો વ્યવસાય બદલ્યો છે. શિક્ષક જય કારીયા બે લોનના હપ્તા ભરવાનું ભારણ હતું. વધુ એક લોન લઇ હપ્તા ભરવા પાણીપુરીની લારી કરવી પડી છે. હાલ આ શિક્ષકે પાણીપુરીની લારી ચાલુ કરી છે.
કલાસીસ શરૂ ન થાય તો શિક્ષકોએ લારીઓ શરૂ કરવાના દિવસો આવશેઃ શિક્ષક
બીજી તરફ કોચિંગ કલાસ ઓનર્સ એસો.ના પ્રમુખ પ્રકાશ કરમચાંદાણીની કલાસ શરૂ રજૂઆત પણ કરવામાં આવી છે. જય કારીયાએ કહ્યું કે, કલાસીસ શરૂ ન થાય તો શિક્ષકોએ લારીઓ શરૂ કરવાના દિવસો આવશે. સરકાર 10 વિદ્યાર્થીઓને અભ્યાસ માટે SOP બનાવે તેવી માગ કરી છે.
રાજકોટના ટ્યુશન ક્લાસિસના શિક્ષકોનું માનવું છે કે તેઓને બીજું કંઈ કામ પણ આવડતું નથી. જેથી તેમને જે પણ નાનું મોટું કામ આવડે છે તે કરીને પરિવારનું ગુજરાન ચલાવવા સિવાય તેમની પાસે કોઈ વિકલ્પ પણ બચતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે કે લોકડાઉનમાં આર્થિક સંકળામણના કારણે લોકોએ પોતાના ધંધા બદલ્યા છે. અગાઉ સુરતના ખરવરનગરમાં વર્ષોથી ટ્યુશન કલાસીસ ચલાવતા શૈલેષ જરીવાળાએ લોકડાઉન બાદ કલાસીસ બંધ હોવાથી કેટરિંગના ધંધો શરૂ કર્યો હતો. શૈલેષભાઇ અને તેમના પત્નીને રસોઈનો શોખ હોવાથી હવે તેમણે ઘરે બેઠા કેટરિંગનો બિઝનેસ શરૂ કરીને ઘરે બેસીને જ ઓર્ડર લેવાનું શરૂ કરીને ભોજન બનાવવાની શરૂઆત કરી છે. જે હવે ધંધો જામવા પણ લાગ્યો છે.