રાજ્યમાં વરસાદની સ્થિતિને લઇને મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીની પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેઓએ જણાવ્યું કે, 'સરકાર તમારી માટે જ છે, તંત્ર પણ સતત એલર્ટ છે.'
વરસાદ ન હોય તોય તકલીફ અને પડે તોય તકલીફ : રાજેન્દ્ર ત્રિવેદી
રોજિંદી આવક ગુમાવી છે તેવાં લોકો માટે સર્વે દ્વારા તંત્ર તુરંત કાર્યવાહી કરાશે: ત્રિવેદી
અમદાવાદમાં તેમજ સમગ્ર રાજ્ય (Gujarat) માં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે મહેસૂલ મંત્રી ગાંધીનગરના કંટ્રોલ રૂમ ખાતે પહોંચ્યા છે. જ્યાં તેઓએ વરસાદની સ્થિતિ અંગે નિવેદન આપતા જણાવ્યું કે, 'વરસાદને લઇને અમદાવાદની જે સ્થિતિ જોવા મળી રહી છે ત્યારે તમને જણાવી દઉં કે જ્યારે અનરાધાર વરસાદ પડે ત્યારે કોઇ પણ શહેર હોય એ પાણી-પાણી થઇ જાય. પરંતુ સદનસીબે કોઇ જાનહાનિ નથી થઇ. તકલીફ તો પડે, વરસાદ ન હોય તોય તકલીફ પડે અને વરસાદ પડે તોય તકલીફ પડે અને વધારે વરસાદ પડે ત્યારે ઘણીવાર વધારે તકલીફ પડતી હોય છે. પરંતુ તંત્રની ફરજ છે કે તંત્ર સજાગ છે કેમ. પણ કોઈએ ચિંતા કરવાની જરૂર નથી કારણ કે CM સાહેબે પોતે બધાને સૂચના આપી છે.'
ઇશ્વરની ખૂબ મોટી કૃપા છે ગુજરાત પર કે કોઇ પણ જાનહાનિ થઇ નથી : રાજેન્દ્ર ત્રિવેદી
આ સાથે રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, 'ગઇકાલે લગભગ સાડા 12 સુધી મે પ્રત્યક્ષ રીતે અહીં હાજર રહીને આ કમાન્ડ સેન્ટર પરથી ઘણા બધા કલેક્ટરો સાથે વાત કરી છે. ગઇકાલે રાત્રે 3 હજાર જેટલાં લોકોને શિફ્ટ કરવામાં આવેલા. એમાંથી 2 હજાર લોકો પોતાના ઘરે પરત ફર્યા છે. સાથે ઇશ્વરની ખૂબ મોટી કૃપા છે ગુજરાત પર કે કોઇ પણ જાનહાનિ થઇ નથી.'
વધુમાં જણાવ્યું કે, 'તંત્ર એલર્ટ છે, અમારા મહેસૂલના કર્મચારીઓ, અધિકારીઓ, ડિઝાસ્ટરના અધિકારીઓ, NDRF અને SDRF સહિત તમામ લોકો ખૂબ જ ઝડપથી કાર્યવાહી કરી રહ્યાં છે. એકબીજાને મદદ પણ કરી રહ્યાં છે. દાહોદ કલેક્ટરને જેવી છોટા ઉદેપુર કલેક્ટર તરફથી માહિતી મળી કે બોટ મોકલો એટલે તુરંત તાત્કાલિક બોટ પહોંચાડવામાં આવી અને લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. આજે વરસાદ નર્મદા જિલ્લામાં વધારે પડી રહ્યો છે. પરંતુ છેલ્લા 6 કલાકમાં 50 મિમી જ્યાં વરસાદ ચાલુ હોય એવી રાજ્યમાં માત્ર 6 જગ્યાઓ છે.'
લોકો સજાગ રહે અને તંત્રની સૂચનાનું પાલન કરે : રાજેન્દ્ર ત્રિવેદી
એ સિવાય જણાવ્યું કે, 'જે લોકોને શિફ્ટ કરવામાં આવ્યા છે તેઓની માટે ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જ્યાં આગળ ખૂબ પાણી ભરાયા છે, જે લોકોએ રોજિંદી આવક ગુમાવી છે તેવાં લોકો માટે સર્વે પ્રમાણે તંત્ર તુરંત કાર્યવાહી કરશે. લોકોને તકલીફ ના પડે એ માટે CMએ તમામ કલેક્ટરને જાણ કરવામાં આવે તેમ જણાવ્યું હતું. મે ગઇકાલે રાત્રે જ્યારે CMને ફોન કર્યો ત્યારે તેઓએ તુરંત મારો ફોન રિસીવ કર્યો કેમ કે તેઓ પણ રાત્રે જાગતા હતા ને ચિંતા કરતા હતા. સરકાર તમારી માટે જ છે, સરકાર લોકોના પડખે છે. લોકો સજાગ રહે અને તંત્રની સૂચનાનું પાલન કરે. કોઇ પણ જાનહાનિ ન થાય તે માટે તંત્ર સતત એલર્ટ છે. તંત્ર ખૂબ જ કાળજીથી કામ લઇ રહ્યું છે.'