2019ની લોકસભા ચૂંટણી ઐતિહાસિક બની છે. નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપ ફરી એક વખત સરકાર બનાવવા જઇ રહ્યું છે. અત્યાર સુધીના ચૂંટણી વલણોમાં ભાજપનું કમળ ખિલતું નજરે આવી રહ્યું છે. જ્યારે સપા-બસપા અને આરજેડી-કોંગ્રેસનું ગઠબંધન સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું છે.
ત્યારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું કે, જનતાએ પોતાનો ફેંસલો આપ્યો જે અમને મંજૂર છે. હું આજે પીએમ મોદીને માત્ર અભિનંદન પાઠવવા માંગુ છું.
સાથે કાર્યકર્તાઓને કહેવા માંગુ છું કે ડરશો નહીં આપણે લડવાનું છે. આ દેશમાં ઘણા લોકો છે જે કોંગ્રેસની વિચારધારા ધરાવે છે તેઓ ડરે નહીં.
અમેઠી બેઠક પર પ્રતિસ્પર્ધી સ્મૃતિ ઇરાનીની જીત થઇ છે જ્યારે રાહુલ ગાંધી પોતાના ગઢમાં હાર્યા છે. ત્યારે રાહુલ ગાંધીએ સ્મૃતિ ઇરાનીની જીત થતા અભિનંદન પાઠવ્યા હતા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હારની જવાબદારી લીધી. તેમણે કહ્યું કે તેમની લડાઇ વિચારધારાની છે અને હું નરેન્દ્ર મોદી અને ભાજપને જીતના અભિનંદન આપું છું.
રાહુલે કહ્યું કે જે આપણા નેતાઓ ચૂંટણી હાર્યા છે, તેમને ડરવાની જરૂર નથી અને ન તો પોતાનો વિશ્વાસ ગુમાવવાની જરૂર છે. રાહુલે અમેઠીથી સ્મૃતિ ઇરાનીની જીત પણ સ્વિકારી અને તેમને અમેઠીની જનતાનું પ્રેમથી ધ્યાન રાખવાની અપીલ કરી.
મોટા સમાચાર સૂત્રો પાસેથી સામે આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર, રાહુલ ગાંધીએ કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજીનામુ આપવાની જાહેરાત કરી છે.