રાહુલ ગાંધી કેટલીક શરતો સાથે કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. અધ્યક્ષપદ છોડવા માટે વળગી રહેલા રાહુલ ગાંધીને મનાવવા માટે કોંગ્રેસના નેતાઓએ એડી-ચોટીનું જોર લગાવ્યું છે. સૂત્રો અનુસાર આજે સવારે કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી, નેતા રણદીપ સૂરજેવાલા તેમને મળવા ગયા હતા અને અધ્યક્ષપદે ચાલુ રહેવા સમજાવ્યા હતા.
વરિષ્ઠ નેતા અહેમદ પટેલે પણ રાહુલ ગાંધીને સમજાવ્યા હતા. આ બેઠક બાદ હવે સંમતિ સધાઇ છે. અહેવાલો અનુસાર રાહુલ ગાંધીને હાલ કોંગ્રેસના અધ્યક્ષપદે ચાલુ રહેવા જણાવાયું છે. કારણ કે હાલ પક્ષને કોઇ નવો વિકલ્પ મળી રહ્યો નથી.
રાહુલને એવું પણ જણાવાયું છે કે તેઓ અધ્યક્ષ તરીકે પક્ષમાં પોતાની મરજી મુજબ બદલાવ કરી શકે છે. આમ રાહુલ ગાંધીને પક્ષમાં ફેરફાર કરવા માટે છૂટો દોર આપવામાં આવ્યો છે. ત્યાર બાદ રાહુલ ગાંધી નરમ પડયા હતા.
સૂત્રોએ એવો દાવો કર્યો છે કે કાર્યપદ્ધતિમાં ફેરફારની કેટલીક શરતો સાથે રાહુલ ગાંધી અધ્યક્ષ તરીકે ચાલુ રહેશે. વરિષ્ઠ નેતા અહેમદ પટેલ, પ્રિયંકા ગાંધી દ્વારા રાહુલ ગાંધી સાથે અનેક દોરની બેઠકો બાદ સંમતિ સધાઇ હતી કે રાહુલ ગાંધી કેટલીક શરતો સાથે કોંગ્રેસ અધ્યક્ષપદે ચાલુ રહેશે. આ બેઠકોમાં સચીન પાઇલટ અને રણદીપ સૂરજેવાલા જેવા નેતાઓ પણ હાજર રહ્યા હતા.