ઓસ્ટ્રેલીયા સામે પહેલા ટી20 મુકાબલામાં મળેલી હારને ધ્યાનમાં રાખતા રાહુલ દ્રવિડે BCCI પાસે બે માંગ કરી છે. જાણો વિગતવાર
ઓસ્ટ્રેલીયા સામે પહેલા ટી20 મુકાબલામાં ભારતને મળી હાર
રાહુલ દ્રવિડે બીસીસીઆઈને ટી20 વર્લ્ડ પહેલા વધારે પ્રેક્ટિસ કરાવવા માટે કહ્યું
5 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલીયા પહોંચશે ટીમ ઇન્ડિયા
ટી20 વર્લ્ડ કપ 2022ની શરૂઆત 16 ઓકટોબરથી ઓસ્ટ્રેલીયામાં થશે. આ મોટી ટુર્નામેન્ટ પહેલા ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલીયા સામે પોતાના જ ઘરમાં ત્રણ મેચોની ટી20 સિરિઝ રમી રહી છે, જેની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ સાથે જોડાયેલ એક સમાચાર સામે આવ્યા છે. રાહુલ દ્રવિડ આ સીરિઝ દરમિયાન જ બીસીસીઆઈ સામે માંગ કરી છે.
રાહુલ દ્રવિડની બીસીસીઆઈને માંગ
ટી20 વર્લ્ડ કપ 2022 માટે રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાની તૈયારીઓ પૂરજોશમાં છે, પણ ટીમના ખરાબ પ્રદર્શનને ધ્યાનમાં રાખતા રાહુલ દ્રવિડે મોટું પગલું ભર્યું છે. એક રિપોર્ટ અનુસાર, રાહુલ દ્રવિડે બીસીસીઆઈને ટી20 વર્લ્ડ પહેલા વધારે પ્રેક્ટિસ કરાવવા માટે કહ્યું છે. ત્યાંની પરિસ્થિતિઓ અનુરૂપ ખુદને ઢાળવા માટે ટીમ નિર્ધારિત સમય કરતાં એક અઠવાડિયુ જલ્દી જ ઓસ્ટ્રેલીયા પહોંચશે.
આ તારીખે ટીમ થશે ઓસ્ટ્રેલીયા માટે રવાના
બીસીસીઆઈ એ 4 ઓક્ટોબરના રોજ ઈન્દોરમાં સાઉથ આફ્રિકા સામે ત્રીજી ટી20 મેચ પછી જ ટીમને ઓસ્ટ્રેલીયા મોકલવાનો નિર્ણય કર્યો છે. બીસીસીઆઈનાં એક અધિકારીએ કહ્યું છે કે અમે અમુક ટીમો સાથે વાતચીત કરી રહ્યા છીએ, જે આઇસીસી દ્વારા રાખવામાં આવેલ પ્રેક્ટિસ મેચો સિવાય પણ અમારી સાથે મેચ રમશે. ટી20 વર્લ્ડ કપની ટીમ દ્રવિડ અને તેનાં સહયોગી સ્ટાફ સાથે 5 ઓક્ટોબરના રોજ ઓસ્ટ્રેલીયા પહોંચશે. ભારતીય ટીમ જે અહીં આફ્રિકા સામે વન-ડે મેચ રમશે તે વીવીએસ લક્ષ્મણના કોચિંગ હેઠળની સેકન્ડ ક્લાસ ટીમ હશે. કોચ રાહુલ દ્રવિડ સાથે ચર્ચા કર્યા બાદ BCCIએ આ નિર્ણય લીધો છે.