પંજાબ કોંગ્રેસમાં લાંબા સમયથી વિવાદો ચાલી રહ્યા છે. નવજોતસિંહ સિદ્ધુને અસંતોષ હોવાની અટકળોએ જોર પકડયું હતું પરંતુ હવે મામલો થાળે પડી ગયો છે.
કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે સમાધાનની ફોર્મ્યુલા તૈયાર
પંજાબમાં CM પદે કેપ્ટન યથાવત જ્યારે સિદ્ધુ બનશે પ્રદેશ અધ્યક્ષ
આગામી સમયમાં બે પ્રદેશ કાર્યકારી પણ બનાવી શકે છે કોંગ્રેસ
કોંગ્રેસ શાસિત પંજાબમાં આખરે વિવાદોનો અનટ આવ્યો હોય એવું લાગે છે. પક્ષથી નારાજ એવા નવજોત સિંહ સિદ્ધુને મનાવવા માટેનો તખ્તો તૈયાર કરવામાં આવ્યો છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે સુલહ કરાવવા માટે નવી ફોર્મ્યુલા લાગુ પાડવામાં આવશે.
નવા પ્રદેશ અધ્યક્ષ બનશે સિદ્ધુ
એક અહેવાલ અનુસાર આ નવી ફોર્મ્યુલા અંગેની જાણકારી કોંગ્રેસ નેતા હરીશ રાવતે આપી હતી. હરીશ રાવત કોંગ્રેસના સુલેહ કમિટીના સદસ્ય છે. તેમણે જણાવ્યું હતું કે આવનારાં સમયમાં કોંગ્રેસ બે કાર્યકારી પણ બનાવી શકે છે. જે પૈકી એક હિન્દુ સવર્ણ અને એક દલિત સમુદાયના નેતા હશે.
હવે નથી કોઈ તકરાર
હરીશ રાવતે કહ્યું હતું કે પંજાબમાં હવે કોઈ મતભેદ નથી. કેપ્ટન અમરિન્દર સિંહ અને સિદ્ધુ બંને પાર્ટીમાં એકબીજાના મહત્વને સમજે છે. બંનેણે સાથે મળીને કામ કરવું જરૂરી છે. રહી વાત સિદ્ધુના ટ્વીટ્સની, તો એમની તો સ્ટાઇલ જ એવી છે જે કે વખાણ પણ આલોચના લાગી શકે છે પરંતુ એ તો હવે કોઈ બદલી શકે એમ નથી.
આપના વખાણ કરતી ટ્વિટ કરી ચૂક્યા છે સિદ્ધુ
અહીં ઉલ્લેખનીય છે કે હજુ એક બે દિવસ પહેલા જ આમ આદમી પાર્ટીના વખાણ કરતી ટ્વીટ્સ કરી નવજોત સિંહ સિદ્ધુ ચર્ચામાં રહ્યા હતા. જેને પગલે એવી પણ અટકળો શરૂ થઈ ગઈ હતી કે સિદ્ધુ કોંગ્રેસ છોડી શકે છે. પણ રાવતની આ ટિપ્પણી બાદ આખરે ઘીના ઠામમાં ઘી પડ્યું હોવાનું લાગે છે.