અમદાવાદમાં PSI દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યા મામલે પરિવારજનોએ કાર્યવાહીની માગ કરી છે. પરિવારજનોએ આરોપી DySP એન.પી. પટેલ પર કાર્યવાહીની માગ કરી છે. ઘટનાને 5 મહિના વિતી ગયા હોવા છતાં હજુ સુધી કાર્યવાહી કરવામાં આવી નથી.
દેવેન્દ્રસિંહના પત્નીએ કહ્યું કે મને પોલીસ અને ન્યાયતંત્ર પર વિશ્વાસ નથી. કેસની તપાસ સેન્ટ્રલ એજન્સીને સોંપવામાં આવે. હવે મારી ધીરજ તૂટી ગઈ છે. હવે હું રાહ નથી જોવા માગતી. સુસાઈડ નોટ હોવા છતાં ક્રાઈમબ્રાંચે હજુ સુધી કોઈ પગલાં નથી લીધા. NP પટેલના કારણે આપઘાત કરતા હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. તેમ છતાં હજુ સુધી કાર્યવાહી નથી થઈ. પરિવારજનોએ ચીમકી ઉચ્ચારતાં કહ્યું કે જો એન.પી. પટેલ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય તો ધરણાં પર ઉતરીશું.
આ રીતે કરી હતી આત્મહત્યા
દેવેન્દ્રસિંહે 31 ડિસેમ્બર 2018માં આત્મહત્યા કરી લીધી હતી. વર્ષ 2016-2017ની બેચના 500 પીએસઆઈમાંથી ગુજરાતના નંબર વન ગોલ્ડ મેડાલિસ્ટ પીએસઆઈ દેવેન્દ્રસિંહ સત્યેન્દ્રસિંહ રાઠોડે કરાઈ એકેડેમીના તાલીમાર્થી ડીવાયએસપી એન.પી.પટેલના ત્રાસથી આત્મહત્યા કરી હોવાનો સુસાઈડનોટમાં ઉલ્લેખ કર્યો હતો. પીએસઆઈ તરીકે પોસ્ટિંગ મળે તેના 6 દિવસ પહેલાં ઘરના પહેલા માળે બેડરૂમમાં ગળાથી થોડે ઉપર દાઢીના ભાગે રિવોલ્વરથી ગોળી મારી આત્મહત્યા કરી હતી.
આત્મહત્યા પહેલા દેવેન્દ્રસિંહે 3 પાનાની ચિઠ્ઠી લખી હતી, જેમાં પોતે નહીં હોય તો 3 વર્ષની દીકરીનું ધ્યાન કોણ રાખશે, તેની ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ ડીવાયએસપી પટેલનો ત્રાસ દીકરીની ચિંતા કરતાં વધુ હોવાથી દેવેન્દ્રસિંહને મરવાનું વધારે સરળ લાગતા તેણે જીવન ટૂંકાવી દીધું હતું.