વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાદડિયાના ગઢમાં જંગી સભા ગજવવા જઈ રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આજની આ જનસભા ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે, વડાપ્રધાન મોદીની આ જનસભાથી રાજકોટ જિલ્લાની 4 બેઠકો પર સીધી અસર થશે.
રાદડિયાના ગઢમાં PM મોદીની જાહેરસભા
રાજકોટ જિલ્લાની 4 બેઠકો પર સીધી અસર થશે
જામકંડોરણા સૌરાષ્ટ્રનું પોલિટિકલ એપિસેન્ટર
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસમાં પણ વધારો થયો છે ત્યારે ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવેલા વડાપ્રધાન મોદીનો આજે ત્રીજો દિવસ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે રાદડિયાના ગઢમાં જંગી સભા ગજવવા જઈ રહ્યા છે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને આજની આ જનસભા ઘણી મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે, પીએમની સભાથી રાજકોટ જિલ્લાની 4 બેઠકો પર સીધી અસર થશે. જેમાં ધોરાજી-ઉપલેટા, જેતપુર જામ કંડોરણા, ગોંડલ, રાજકોટ ગ્રામ્યની બેઠકનો સમાવેશ થાય છે.
જામકંડોરણાને માનવામાં આવે છે સૌરાષ્ટ્રનું પોલિટિકલ એપિસેન્ટર
જામકંડોરણા ભૌગોલિક રીતે સૌરાષ્ટ્રનું કેન્દ્રબિંદુ છે. રાજકોટ જિલ્લામાં આવેલા જામકંડોરણામાં પીએમ મોદીની સભાથી રાજકોટ જિલ્લાની 4 બેઠકોને સીધી અસર થઈ શકે છે. તમામ બેઠક પર લેઉઆ પાટીદાર મતદારોનું વર્ચસ્વ છે. આ બેઠકો પર લેઉઆ પાટીદાર મતદારો વિશે વાત કરીએ તો રાજકોટ ગ્રામ્ય બેઠકમાં 40% લેઉઆ પાટીદાર મતદારો છે. જ્યારે જેતપુર બેઠકમાં 45% લેઉવાં પાટીદાર મતદારો, ધોરાજી બેઠકમાં 25% લેઉઆ પાટીદાર મતદારો અને ગોંડલમાં 40% લેઉઆ પાટીદાર મતદારો છે. સૌરાષ્ટ્રનું કેપિટલ ભલે રાજકોટ કહેવાય પણ સૌરાષ્ટ્રનું પોલિટિકલ એપિસેન્ટર તો જામકંડોરણા જ રહ્યું છે.
7 જિલ્લાની જનતા સરળતાથી પહોંચી શકે છે જામકંડોરણા
રાજકોટથી 75 કિલોમીટર દૂર આવેલ પાટીદાર સમાજના કદાવર નેતા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાનું વતન જામકંડોરણામાં સાત જિલ્લાની જનતા સરળતાથી પહોંચી શકે છે. અહીં રાજકોટ, જામનગર, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, અમરેલી અને ભાવનગરના લોકો સરળતાથી પહોંચી શકે છે. આ સાતેય જિલ્લાઓમાં પાટીદાર મતદારોનું પ્રભુત્વ છે. બીજુ જામકંડોરણાથી લેઉવા પટેલ સમાજના કુળદેવીનું મંદિર ખોડલધામ 50 કિલોમીટરના અંતરે આવેલું છે, તો કડવા પાટીદાર સમાજના કુળદેવી ઉમિયા માતાજીનું મંદિર સીદસર 54 કિલોમીટરના અંતરે આવેલું છે. આ ઉપરાંત જૂનાગઢના ગાઠિલા ગામમાં આવેલું ઉમિયા માતાજીનું મંદિર પણ જામકંડોરણાથી 60 કિલોમીટરના અંતરે આવેલું છે. જામકંડોરણામાં સભા થાય તો આ બેઠકો પર તેની સીધી અસર થઈ શકે છે. આ કારણોસર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી સભા માટે જામકંડોરણાની પસંદગી કરી હોવાનું કહેવામાં આવે છે.
આ વિસ્તારમાં રાદડિયા પરિવારનું ભારે વર્ચસ્વ
જેતપુર-જામકંડોરણા વિધાનસભા બેઠકને રાદડિયા પરિવારનો ગઢ માનવામાં આવે છે. દિવંગત નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના સમયથી જ આ વિસ્તારમાં રાદડિયા પરિવારનું ભારે વર્ચસ્વ છે. આ વિસ્તારમાં વિઠ્ઠલભાઈ જેવો જ જયેશ રાદડિયાનો દબદબો છે. આ બેઠક પર જાતિવાદી સમીકરણો વિશે વાત કરીએ તે જેતપુરમાં લઉવા-કડવા પટેલ, ક્ષત્રિય, આહીર, કોળી, બ્રાહ્મણ, માલધારી, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું પ્રભુત્વ છે. વર્ષોથી જેતપુર-જામકંડોરણા વિધાનસભા બેઠકને ભાજપનો ગઢ માનવામાં આવે છે. વર્ષ 2012માં જયેશ રાદડિયા આ બેઠક પર કોંગ્રેસમાંથી વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા. એ સમયે તેમણે ભાજપના જશુમતીબેન કોરાટને હરાવ્યા હતા. જોકે, તેના બે મહિના પછી જ સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયાએ કોંગ્રેસને અલવિદા કહી દીધું હતું અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા. જે બાદ આ બેઠક પર ફરી પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં જયેશ રાદડિયા ભારતીય જનતા પાર્ટીમાંથી લડ્યા હતા અને તેમનો ભવ્ય વિજય થયો હતો. ત્યારથી આજ સુધી જયેશ રાદડિયાની જીત થતી આવી છે.
ગુજરાતના પાટીદારોને રીઝવવાના પ્રયાસો શરૂ
નોંધનીય છે કે, જ્યારે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવે ત્યારે પાટીદાર અને કોળી મતદારોની ચર્ચા થવા લાગે. જ્યારથી ગુજરાતની કમાન વિજય રૂપાણીના હાથમાંથી લઈને ભૂપેન્દ્ર પટેલના હાથમાં સોંપવામાં આવી છે ત્યારેથી ભાજપ દ્વારા ગુજરાતના પાટીદારોને રીઝવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. ગઈ વખતની વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ તો 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 100ના આંકડાને પણ પાર કરી શકી નહોતી, તેનું મુખ્ય કારણ પાટીદાર સમાજની નારાજગી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું. આવી સ્થિતિમા જો આ વખતે સારી જીત મેળવવી હોય તો પાટીદારોને ફરી ભાજપ તરફ કરવા જરૂરી છે.