રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે રશિયા હવે ઓછી કિંમતે તેલ વેચશે નહીં
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની જાહેરાત
રશિયા હવે ઓછી કિંમતે તેલ વેચશે નહીં
જર્મની તરફ જતા નોર્ડ સ્ટ્રીમ 2 પાઇપલાઇન શરુ થશે
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું છે કે તેઓ બાલ્ટિક સમુદ્ર હેઠળ જર્મની તરફ જતા નોર્ડ સ્ટ્રીમ 2 પાઇપલાઇન દ્વારા યુરોપમાં ગેસનો પુરવઠો ફરી શરૂ કરવા તૈયાર છે. પુતિને એ પણ સ્પષ્ટ કર્યું હતું કે રશિયા હવે ઓછી કિંમતે તેલ વેચશે નહીં. આ ઉપરાંત રશિયન મીડિયા અનુસાર પુતિને કહ્યું છે કે રશિયા ઓછી કિંમતની કેપ સાથે તેલ વેચશે નહીં. યુક્રેન સાથેના યુદ્ધ બાદના વિવાદોને કારણે રશિયાએ યુરોપિયન દેશોને ગેસનો પુરવઠો આપવાનું બંધ કરી દીધું છે, જેના કારણે યુરોપમાં ઊર્જા સંકટ ઊભું થયું છે.
IAEA પ્રમુખ સાથે પુતિનની મુલાકાત
આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સી (IAEA)ના વડા રાફેલ ગ્રોસીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની બેઠકમાં ઝાપોરીઝિયા પરમાણુ ઊર્જા પ્લાન્ટની સલામતી અને સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રશિયાના સેન્ટ પીટર્સબર્ગમાં પુતિન સાથે આઇએઇએના મહાનિદેશક વચ્ચે મંગળવારે થયેલી બેઠક ઝાપોરિઝિયા અને તેની આસપાસના વિસ્તારમાં લશ્કરી હુમલાના થોડા દિવસો બાદ થઇ હતી. આ મુદ્દાઓ ખૂબ જ મહત્વપૂર્ણ અને અનિવાર્ય છે તેની નોંધ લેતા ગ્રોસીએ કહ્યું હતું કે અમારી પાસે પરમાણુ સલામતી સાથે સંબંધિત મુદ્દાઓ છે, ખાસ કરીને ઝાપોરીઝિયા પરમાણુ ઊર્જા પ્લાન્ટ. હું પરમાણુ અકસ્માત ટાળવાના પ્રયત્નો વિશે વાત કરી રહ્યો છું જે તેને આ ક્ષેત્ર માટે ખૂબ જ હાનિકારક બનાવી શકે છે. ક્રેમલિનની પ્રેસ રિલીઝમાં ગ્રોસીને ટાંકીને જણાવવામાં આવ્યું હતું કે, "તમે કહો છો તેમ, પરમાણુ ઊર્જાના શાંતિપૂર્ણ ઉપયોગને લગતા મુદ્દાઓ ઇતિહાસમાં નોંધવામાં આવ્યા છે, અને અલબત્ત રશિયા હંમેશાં આ તમામ પ્રયત્નોમાં મુખ્યત્વે સામેલ રહ્યું છે." આઇએઇએના વડાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં ઊર્જાની સમસ્યાઓ, ગ્લોબલ વોર્મિંગ સાથે અણુઊર્જા સાથે ઘણી બધી બાબતો સંકળાયેલી છે અને તેને વર્તમાન અને ભવિષ્યમાં અણુ ઊર્જાની ભૂમિકા સાથે પણ સાંકળી શકાય છે.
પરમાણું ઉર્જા હમેશા શાંતિપૂર્ણ વપરાશ માટે થશે
વાતચીત દરમિયાન પુતિને આશ્વાસન આપ્યું હતું કે રશિયાએ હંમેશા દરેક રીતે એજન્સીની ગતિવિધિઓનું સમર્થન કર્યું છે. અમે એજન્સીના મિશનને ખૂબ મહત્વ આપીએ છીએ, જેના વડા તરીકે તમે તમારું જીવન, તમારો સમય સમર્પિત કરો છો. ક્રેમલિન દ્વારા પુતિનને ટાંકીને કહેવામાં આવ્યું હતું કે, "અમે હંમેશાં શાંતિપૂર્ણ પરમાણુ ઊર્જા માટે તમામ દેશોની સમાન પહોંચને ટેકો આપ્યો છે." જો કે, તેમણે જણાવ્યું હતું કે પરમાણુ પ્રવૃત્તિ સાથે સંબંધિત કોઈપણ વસ્તુના અતિશય અને જોખમી રાજકીયકરણના તત્વો પણ અસ્તિત્વમાં છે અને આશા છે કે આઇએઇએ આ મામલે રેટરિકને હળવી કરવામાં સક્ષમ હશે અને પ્રદેશમાં સામાન્ય સ્થિતિમાં પરત ફરશે.
સતત હુમલાઓ થઇ રહ્યા છે
તાજેતરના દિવસોમાં ઔદ્યોગિક વિસ્તારમાં સતત તોપમારો કરવામાં આવી રહ્યો છે. ઝાપોરિઝજિયા શહેરમાં રવિવારે થયેલા ગમખ્વાર હુમલા સહિત અન્ય ઘણી જગ્યાએ મિસાઇલ હુમલા થયા છે. યુક્રેનના ઝાપોરીઝિયા વિસ્તારમાં રોકેટ હુમલો થતા ઓછામાં ઓછા 17 લોકોનાં મોત થયાં હતાં અને 40 લોકો ઘાયલ થયા હતા. અહેવાલ મુજબ, ઝાપોરિઝિયાના કાર્યકારી મેયર એનાટોલી કુર્ટેવે જણાવ્યું હતું કે આ હુમલામાં પાંચ મકાનો નાશ પામ્યા છે અને એપાર્ટમેન્ટની ઇમારતોને નુકસાન થયું છે. ડાયરેક્ટર જનરલ ગ્રોસીએ જણાવ્યું હતું કે ઝાપોરીઝિયા અને તેની આસપાસના વિસ્તારમાં લશ્કરી હુમલાને કારણે પરમાણુ અકસ્માતનું જોખમ વધી ગયું છે.