24 માર્ચે રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ ગુજરાત વિધાનસભામાં પ્રથમ વાર સંબોધન કરશે
રાષ્ટ્રપતિનો ગુજરાત પ્રવાસ
24 માર્ચે વિધાનસભાને સંબોધશે
ગૃહનો એક કલાક સમય વધારાયો
ગુજરાત હંમેશા વિકાસના મોડેલ સમાન રહ્યુ છે અને રાષ્ટ્રપતિ તેમજ વડાપ્રધાનનું પસંદગીનું રાજ્ય પણ કહી શકાય. ગુજરાતને વિકાસના મોડલ તરીકે પ્રસ્તુત કરવામાં આવે છે. ત્યારે ગુજરાતની મુલાકાતે રાષ્ટ્રપતિ આવી રહ્યા છે. 25 માર્ચના INS વાલસુરા નેવી મથકની મુલાકાતે રાષ્ટ્રપતિ આવવાના છે ત્યારે 24 માર્ચના રોજ તેઓ ગુજરાત વિધાનસભાને સંબોધિત કરશે.
ગુજરાત વિધાનસભામાં પ્રથમ વાર રાષ્ટ્રપતિ સંબોધન કરશે
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 24 માર્ચેથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે ત્યારે ગુજરાતના ઈતિહાસમાં પ્રથમ વાર તેઓ વિધાનસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિન્દ સંબોધન કરશે. સવારે 11 કલાકે રાષ્ટ્રપતિનું સંબોધન રાખવામાં આવ્યું છે. જે એક કલાક સુધી ચાલશે. વિધાનસભાની કામકાજ સલાહકાર સમિતિમાં આ નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને લઈને ગૃહનો એક કલાક સમય વધારી દેવામાં આવ્યો છે.
રાષ્ટ્રપતિનો દ્વારકાનો 24 માર્ચનો કાર્યક્રમ રદ
મહત્વનું છે કે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. અને દ્વારકા પ્રવાસ છેલ્લી ઘડીએ રદ કરાયો છે. દ્વારકા પ્રવાસને લઈને જિલ્લા કલેકટર દ્વારા માહિતી આપવામાં આવી છે. આ નિર્ણય અગાઉના આયોજન મુજબ રાષ્ટ્રપતિ 24 માર્ચના રોજ દ્વારકાધીશના દર્શન કરવા આવવાના હતા જેને લઈને તૈયારીઑ પણ કરી લેવામાં આવી હતી પણ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર કરી દેવામાં આવ્યો છે.
25 માર્ચે જામનગરની મુલાકાતે રાષ્ટ્રપતિ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 માર્ચે જામનગરની મુલાકાત લેશે. જ્યાં ઇન્ડિયન નવલ શિપ વાસસુરાને ‘પ્રેસિડેન્ટ્સ કલર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માનના કાર્યક્રમ દરમિયાન 150 જવાનો દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી સહિતના લોકો ઉપસ્થિત રહેનાર છે.