શ્રીલંકામાં ત્રાસવાદી હુમલાની આ ઘટનામાં ભારતને માટે સાવચેતી અને સતર્કતાનો સંકેત છે. શ્રીલંકાનું નેશનલ તૌહીદ જમાત (એનટીજે) નામનું ઉગ્રવાદી સંગઠન તામિલનાડુમાં પણ સક્રિય છે. તેની સામે એવો પણ આરોપ છે કે આ સંગઠને ખ્રિસ્તી સમુદાયના કેટલાક લોકોનું બળજબરીથી ઇસ્લામમાં ધર્માંતરણ કરાવ્યું હતું.
શ્રીલંકામાં ઈસ્ટરના દિવસે જ ચર્ચ સહિતનાં સ્થળોએ શ્રેણીબદ્ધ આત્મઘાતી વિસ્ફોટોની ઘટનાએ વિશ્વ સમસ્તની ચિંતા વધારી દીધી છે. સાડા ત્રણસોથી વધુ લોકોનો ભોગ લેનાર અને પાંચસોથી વધુ લોકોને ઘાયલ કરનાર આ વિસ્ફોટોનું ટાર્ગેટ ઇસાઇ સમુદાય અને વિદેશી નાગરિકો હતા એ પણ સ્પષ્ટ થયું છે અને એટલે જ આ વિસ્ફોટોને ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટ ચર્ચ હત્યાકાંડના બદલા તરીકે પણ જોવામાં આવે છે. જોકે એ માત્ર અનુમાન છે.
આ વિસ્ફોટો ત્રાસવાદી હુમલાની સૌથી વધુ ઘૃણિત અને કુત્સિત ઘટના ગણવામાં આવી છે, એ બધું સાચું, પરંતુ આ હુમલા માટે શ્રીલંકાની પસંદગી કેમ કરવામાં આવી એ હજુ એકદમ સ્પષ્ટ થયું નથી અને આ અસ્પષ્ટતા જ સૌથી વધુ મોટી ચિંતાનું કારણ છે. અને એટલે જ એવું તારણ કાઢવામાં આવ્યું છે કે કોઇ પણ કારણ વિના કોઇ પણ સલામત સ્થળે હુમલાની ઘટનાને અંજામ આપવો એ ત્રાસવાદી સંગઠનોની નવી વ્યૂહરચના હોય તેમ જણાય છે. આ તારણમાં થોડું પણ તથ્ય હોય તો એ દુનિયાને માટે સૌથી મોટી ચિંતાનો વિષય છે, કેમ કે આ વ્યૂહરચનામાં તો સંભવિત ત્રાસવાદી હુમલાને નિવારવાનું જ મુશ્કેલ અને અશક્ય બની જાય.
હવે બીજી મહત્ત્વની વાત. એલટીટીઇ પ્રેરિત ગૃહયુદ્ધમાંથી છેલ્લાં દસ વર્ષથી મુક્ત થયા બાદ આવી કોઇ મોટી ખૂનખરાબી કે હત્યાકાંડ જેવી ઘટના શ્રીલંકામાં બની નથી. એથી શ્રીલંકા શાંત અને શાંતિપ્રિય બની ગયું હોવાના લીરા ઉડાડે એવું તથ્ય એ છે કે શ્રીલંકામાં નેશનલ તૌહીદ જમાત (એનટીજે) નામનું સંગઠન સક્રિય છે. આ સંગઠનને ઇસ્લામિક સ્ટેટ અથવા અલ કાયદા સાથે સંપર્ક હોઇ શકે.
ઇસ્ટરના વિસ્ફોટો અંગે ભલે કોઇ સંગઠને પોતાનું કૃત્ય હોવાનો દાવો ન કર્યો હોય અને એનટીજે સંગઠનની સંડોવણી પણ સ્પષ્ટ થઇ ન હોય તો પણ જે પ્રકારે વિસ્ફોટોની ઘટના બની છે એ સ્પષ્ટ સૂચવે છે કે તેમાં કોઇ વિદેશી સંગઠનની સંડોવણી હોવી જોઇએ, કેમ કે આટલા વ્યાપક હુમલા માટે તૈયારી અને તાલીમ તેમજ વિસ્ફોટકોની વ્યવસ્થા વગેરે એક મોટા નેટવર્કની આવશ્યકતાને ઇંગિત કરે છે અને એટલે જ એક અનુમાન એવું છે કે આ હુમલાની યોજના શ્રીલંકામાં કરવામાં આવ્યો. હુમલામાં સંડોવાયેલા અને આત્મઘાતી બોમ્બર બનેલા તમામ લોકો શ્રીલંકાના જ છે.
આટલી વાત સ્પષ્ટ થયા પછી એવા તારણ પર અવાય છે કે આવું ત્રાસવાદી નેટવર્ક વિશ્વમાં સિરિયામાં આઇએસ અને પાકિસ્તાન-અફઘાન સરહદે અલ કાયદાનું સક્રિય છે. આ વિસ્ફોટોની યોજના અને તૈયારી તેમાં જ ક્યાંક થઇ હોઇ શકે. મોટા હુમલા માટે તૈયારી પણ મોટી કરવી પડે. પણ આ તૈયારીની ગંધ સુધ્ધાં શ્રીલંકામાં કોઇને ન આવી તેનો મતલબ એ છે કે શ્રીલંકામાં આંતરિક સુરક્ષા ક્ષેત્રે ઘણી ક્ષતિ અને છીદ્રો રહેલાં છે. આવા કોઇ ત્રાસવાદી હુમલાની સંભાવના વિશે ભારતે શ્રીલંકાના ગુપ્તચર વિભાગને દસ દિવસ પહેલાં ફિડબેક આપ્યા હતા અને શ્રીલંકાનાં સુરક્ષા દળોએ એલર્ટ પણ આપ્યું હતું, પરંતુ કહે છે કે તેને વિશે શ્રીલંકાના રાષ્ટ્રપતિ કે વડા પ્રધાનને જ ખબર ન હતી. આથી મોટી કરુણતા બીજી કઇ હોઇ શકે?
શ્રીલંકામાં સાંપ્રદાયિક સંઘર્ષ નથી એ વાત પણ ખોટી છે. શ્રીલંકામાં મુસ્લિમો અને સિંહાલી બૌદ્ધો વચ્ચે સંઘર્ષ ચાલ્યા કરે છે. એનટીજે નામનું સંગઠન ભગવાન બુદ્ધની મૂર્તિઓ તોડતું રહ્યું છે અને તેને કારણે જ એ સંગઠન ચર્ચાનો વિષય બન્યું હતું. તેના પ્રતિકારમાં બૌદ્ધ સાધુઓનો એક વર્ગ ઉગ્ર પ્રતિક્રિયા આપતો રહ્યો છે. શ્રીલંકામાં ત્રાસવાદી હુમલાની આ ઘટનામાં ભારતને માટે સાવચેતી અને સતર્કતાનો સંકેત છે. શ્રીલંકાનું નેશનલ તૌહીદ જમાત (એનટીજે) નામનું ઉગ્રવાદી સંગઠન તામિલનાડુમાં પણ સક્રિય છે. તેની સામે એવો પણ આરોપ છે કે આ સંગઠને ખ્રિસ્તી સમુદાયના કેટલાક લોકોનું બળજબરીથી ઇસ્લામમાં ધર્માંતરણ કરાવ્યું હતું.
ઓક્ટોબર-૨૦૧૭માં તેની સામે એફઆઇઆર પણ નોંધાઇ હતી. ત્રાસવાદની બાબતમાં ભારત અત્યારે અત્યંત સાવધાનીથી વર્તે છે. શ્રીલંકાની ઘટનાને પગલે ભારતે તામિલનાડુના સમુદ્રી કિનારે સુરક્ષા કડક બનાવી દીધી છે. શ્રીલંકાના આ સંગઠનના લોકો પોલીસથી બચવા ભારત તરફ પ્રયાણ કરી શકે છે. એથી ભારતનું સુરક્ષા તંત્ર સાબદું બન્યું છે, પરંતુ પહેલેથી જ તામિલનાડુમાં સક્રિય આ સંગઠન કોઇ અનિચ્છનીય હરકત ન કરે તેની પણ સાવચેતી રાખવી પડશે.•