અમદાવાદઃ નરોડા પાટીયા કેસનાં ચૂકાદા પર પ્રવિણ તોગડીયાએ મહત્વનું નિવેદન આપ્યું છે. તોગડીયાએ જણાવ્યું હતું કે "માયાબેનને નિર્દોષ છોડવાનાં ચૂકાદાનું હું સ્વાગત કરૂ છું અને બાબુ બજરંગી સહિતનાં લોકોની સજા યથાવત રાખવી તેનું મને દુઃખ છે. તોગડીયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર નિર્દોષો સામે અપીલ ન કરે તેવી વિનંતી છે.
ગોધરા અને અયોધ્યાનાં કાર સેવકોનાં બલિદાનને કેન્દ્ર સરકાર ધ્યાનમાં લઇને સંસદમાં રામ મંદિરનો કાયદો બનાવે. આ સાથે પ્રવિણ તોગડીયાએ એવું નિવેદન પણ આપ્યું કે જો બાબુ બજરંગી સુપ્રીમમાં જશે તો તેમને ફ્રીમાં હિંદુ વકીલ ઉપલબ્ધ કરાવીશું."
ઉલ્લેખનીય છે કે આજે વર્ષ 2002નાં નરોડા પાટિયા કાંડ કેસમાં હાઈકોર્ટ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો છે. માયા કોડનાનીને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે જ્યારે બાબુ બજરંગીની મુશ્કેલીઓમાં વધારો થયો છે. એટલે કે હાઈકોર્ટે બાબુ બજરંગીને દોષિત સાબિત કર્યો છે.
જો કે બાબુ બજરંગીની સજામાં થોડોક ઘટાડો કરવામાં આવ્યો છે. પહેલા આપવામાં આવેલ સજામાં મૃત્યુ સુધી આજીવન કારાવાસની સજા અપાઈ હતી જ્યાર હવે તેમાં ઘટાડો કરી દેવામાં આવ્યો છે એટલે કે સજાને ઘટાડીને 21 વર્ષ સુધી કરી દેવામાં આવી છે. બાબુ બજરંગીએ 21 વર્ષ કારાવાસ ભોગવવો પડશે.
બાબુ બજરંગી સહિત 3 લોકોને હાઇકોર્ટે ષડયંત્રકારી ગણાવ્યાં હતાં. મુકેશ ઉર્ફે વકીલ હીરાજી મારવાડી સહિત 17 લોકોને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. 31માંથી 14 દોષિત અને 17 લોકોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યાં છે. જ્યારે એકનું મોત થઈ ચૂક્યું છે.