મહારાષ્ટ્રના પાલઘરમાં આગામી 7 જાન્યુઆરીના રોજ જિલ્લા પરિષદ અને પંચાયત સમિતિની ચૂંટણી યોજાવા જઇ રહી છે. જેને લઈને ભાજપ અને રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના વચ્ચે ગઠબંધન થયું હોવાની ચર્ચાઓ ફેલાઇ રહી છે. નોંધનીય છે કે, આ મામલે પાલઘરમાં જ એક બેનર જોવા મળ્યું હતું જેમાં પ્રધાનમંત્રી મોદી અને મનસેના અધ્યક્ષ રાજ ઠાકરે એક સાથે જોવા મળી રહ્યાં છે.
મહારાષ્ટ્રના પાલઘરમાં વાયરલ થયાં રાજ ઠાકરે અને PM મોદીના પોસ્ટર
મનસેએ ગણાવ્યું ભાજપે લગાવ્યા પોસ્ટર
મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો
આપને જણાવી દઇએ કે, આ અંગે પાલઘર મનસેના જિલ્લાધ્યક્ષ અવિનાશ જાધવે કહ્યું હતું કે, રાજ ઠાકરે અને મોદી એક સાથે હોવાનું બેનર ભાજપના લોકો દ્વારા જ લગાવવામાં આવ્યા છે, મનસે દ્વારા આ પ્રકારના કોઇ જ બેનર લગાવવામાં આવ્યા નથી.
મનસે અને ભાજપે હાથ મિલાવ્યા હોવાની ચર્ચા
આ સાથે જ એક જ પોસ્ટરમાં રાજ ઠાકરે અને પીએમ મોદીને દેખાડવામાં આવતા એવી શક્યતાઓ પણ સેવાઇ રહી છે કે, પાલઘર પંચાયત ચૂંટણીમાં ભાજપ મનસે હાથ મિલાવી શકે છે.
ભાજપ અને શિવસેના વચ્ચે તૂટ્યું છે ગઠબંધન
તાજેતરમાં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાનું ગઠબંધન હતું. જો કે, પરિણામો જાહેર થયાં બાદ કોઇ કારણોસર બંન્ને પક્ષો વચ્ચે ગઠબંધન તૂટી ગયું હતું. અંતે ભાજપે રાતોરાત NCP સાથે મળીને સરકારની રચના કરી પરંતુ આ સરકાર ગણતરીના કલાકોમાં જ સરકાર પડી હતી.
આ તકનો લાભ લઇને શિવસેના, કોંગ્રેસ તથા NCP એ સંગઠનવાળી સરકારની રચના કરી હતી. ત્યારે હવે રાજ ઠાકરે અને પ્રધાનમંત્રી મોદીના પોસ્ટર વાયરલ થતાં મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો ફેલાયો હતો.