મધ્ય પ્રદેશની કમલનાથ સરકાર પર ગઈકાલે રાત્રે મોટા સંકટનાં વાદળો ઘેરાતાં જોવા મળ્યા હતા. અહેવાલો અનુસાર, કોંગ્રેસના દિગ્ગજ નેતા અને આદિવાસી ધારાસભ્ય બિસાહુલાલ સિંહ સહિતના લગભગ આઠ ધારાસભ્યો ભાજપના નેતાઓની સાથે ગુરુગ્રામની એક હોટલમાં પહોંચી ગયા હતા. કોંગ્રેસના સંકટમોચક બનેલા દિગ્વિજય સિંહે કબૂલાત પણ કરી કે હાલમાં ચાર ધારાસભ્યો ભાજપનાં સંપર્કમાં છે.
કોંગ્રેસે ભાજપ પર લગાવ્યો ધારાસભ્યો ખરીદવાનો આરોપ
ભાજપ પાસે ચાર ધારાસભ્યો હોવાની કબૂલાત
ભાજપના જૂના ભ્રષ્ટાચાર ઉજાગર થઇ જવાનો કોંગ્રેસે લગાવ્યો આરોપ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ સીએમ દિગ્વિજયસિંહ પણ હોટલ પર પહોંચ્યા હતા, જ્યાં તેમને હોટલમાં પ્રવેશવા અંગે હોટલ મેનેજમેન્ટ સાથે ઘણી માથાકૂટ થઈ હતી. ત્યારબાદ જયવર્ધન સિંહ, બસપાના ધારાસભ્ય રામબાઈની સાથે આવતા જોવા મળ્યા હતા. કોંગ્રેસે ગંભીર આરોપ લગાવ્યો હતો કે, ભાજપના નેતાઓ દ્વારા કોંગ્રેસના ધારાસભ્ય બિસાહુલાલ સહિત અન્ય ધારાસભ્યોને બંધક બનાવીને રાખવામાં આવ્યા છે. કોંગ્રેસે ભાજપ પર કોંગ્રેસના ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
મોડી રાતે એવા સમાચાર મળ્યા હતા કે, ભાજપે બસપાના બે, એક અપક્ષ અને છ કોંગ્રેસી ધારાસભ્યોને ગુરુગ્રામની આઈટીસી મરાઠા હોટલમાં બંધક બનાવ્યા છે. ત્યારબાદ રાતે જ ભોપાલથી જીતુ પટવારી અને જયવર્ધનસિંહને દિલ્હી મોકલવામાં આવ્યા હતા. પટવારીએ જણાવ્યું કે, અમે હોટલ પહોંચીએ ત્યાં સુધીમાં તો તમામ ધારાસભ્યોને હોટલથી કોઈ અજાણ્યા સ્થળે લઈ જવાયા હતા. માત્ર રામબાઈ જ અમને હોટલની બહાર મળ્યાં હતાં. રાતે લગભગ ૨.૦૦ વાગ્યે ઘણા ઘારાસભ્યો હોટલથી તેમનો સામાન લઈને બહાર નીકળતા જોવા મળ્યા હતા.
મધ્યપ્રદેશની સરકાર પર તોળાઈ રહેલા ખતરા વચ્ચે મુખ્યમંત્રી કમલનાથે ભાજપનો ઉધડો લીધો. કમલનાથે કહ્યું કે ધારાસભ્યો તેમને કહી રહ્યા છે કે કેટલા પૈસા આપવામાં આવી રહ્યા છે જેના જવાબમાં કમલનાથે સલાહ આપી કે ફોકટનાં પૈસા મળે તો ન લેતા. મધ્યપ્રદેશમાં રાજનીતિક ઘમાસાણ વચ્ચે કમલનાથે કહ્યું 'હું દિગ્વિજય સિંહનાં નિવેદનથી સંપૂર્ણરીતે સહમત છું. ભાજપ ભયભીત છે કે 15 વર્ષનાં શાસનકાળમાં થયેલા ભ્રષ્ટાચાર જગજાહેર ન થઇ જાય.' કમલનાથે કબૂલાત કરી કે ભાજપ પાસે ચાર ધારાસભ્યો છે.
દિગ્વિજયે કહ્યું કે, ભાજપ નેતા રામપાલ સિંહ, નરોત્તમ મિશ્રા, અરવિંદ ભદૌરિયા, સંજય પાઠક ધારાસભ્યોને પૈસા આપવા માટે લઈ જઈ રહ્યા હતા. મને લાગતું હતું કે, હોટલમાં ૧૦-૧૧ ધારાસભ્ય હશે. હાલ માત્ર ચાર તેમની (ભાજપ) પાસે છે. અમારા લોકો બિસાહુલાલ સિંહ અને રામબાઈના સંપર્કમાં પણ છે. બન્ને પાછા આવવા માગતાં હતાં, પરંતુ ભાજપે તેમને રોકી લીધા હતા. કોંગ્રેસ આજે આ મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરશે.