રામ મંદિરના શિલાન્યાસ સમારોહની અયોધ્યામાં તડામારી તૈયારાઓ ચાલી રહી છે. ત્યારે મળતી માહિતી પ્રમાણે આ ભૂમિ પૂજન કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી લગભગ સવારે 11.15 કલાકે ઉપસ્થિત રહેશે અને બપોરે 2 વાગ્યે તેઓ અયોધ્યાથી રવાના થશે.
અયોધ્યામાં તડામારી તૈયારાઓ શરૂ
સ્ટેજ પર માત્ર 5 વ્યક્તિઓને મળશે સ્થાન
પ્રાપ્ત થતી જાણકારી અનુસાર, પ્રધાનમંત્રી મોદી પહેલા હનુમાનમઢી જઇને દર્શન કરશે. ત્યારબાદ રામલલ્લા દર્શન કરશે અને ત્યારબાદ ભૂમિ પૂજન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
5 વ્યક્તિ સ્ટેજ પર રહેશે હાજર
ઉલ્લેખનીય છે કે, અયોધ્યામાં મંચની તૈયારીઓ ફાઇનલ કરવામાં આવી છે અને માત્ર 5 વ્યક્તિઓને જ સ્ટેજ પર સ્થાન મળે. આ 5 વ્યક્તિઓમાં પ્રધાનમંત્રી મોદી, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, UPના રાજ્યપાલ આનંદીબેન પટેલ, RSS સુપ્રીમો મોહન ભાગવત અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસનો સમાવેશ થાય છે.
માત્ર યોગી આદિત્યનાથને જ આમંત્રણ
અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ૫મી ઓગસ્ટે ભૂમિ પૂજન થવા જઈ રહ્યું છે. ત્યારે ભૂમિ પૂજન કાર્યક્રમ માટે માત્ર ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યાથને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. તે સિવાય અન્ય કોઈ મુખ્યપ્રધાનને આમંત્રણ આપવામાં આવ્યું નથી.
કાર્યક્રમમાં હાજરીને લઇને ગરમાઇ શકે છે રાજકારણ
હવે આ મુદ્દે પણ રાજકારણ ગરમાઈ શકે છે. કારણ કે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે અગાઉ પણ ભૂમિ પૂજનમાં સામેલ થવાની ઈચ્છા વ્યક્ત કરી ચુક્યા છે. શિવસેના સંસ્થાપક બાલાસાહેબ ઠાકરેનો રામ મંદિર આંદોલન સાથે વર્ષો જૂનો સબંધ રહ્યો છે. એવામાં ઉદ્ધવ ઠાકરેની આશાઓને મોટો ઝટકો લાગી શકે છે.અહેવાલો અનુસાર, ભૂમિ પૂજનમાં ૨૦૦ વીઆઈપી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. મહેમાનોની યાદી અંગે ભારે ગુપ્તતા રાખવામાં આવી રહી છે. સુરક્ષાનાં કારણોસર આમંત્રિતોનાં નામ જાહેર કરવામાં આવી નથી રહ્યાં.