આઝાદી બાદ પહેલી વાર ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે
હજુ સુધી કોઈ પણ ભારતીય પ્રધાનમંત્રીએ અધ્યક્ષતા કરી નથી
નરેન્દ્ર મોદીને આ બહુમાન મળ્યું
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પૂર્વ સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને રવિવારે આ વાતની જાણકારી આપતા જણાવ્યું કે 9 ઓગસ્ટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની બેઠક યોજાઈ રહી છે, બેઠકની અધ્યક્ષતા પ્રધાનમંત્રી મોદી કરવાના છે. દેશની આઝાદી બાદ પહેલી વાર કોઈ ભારતીય પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરવા જઈ રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે 75 વર્ષમાં પહેલી વાર કોઈ ભારતીય પ્રધાનમંત્રી સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદની બેઠકની અધ્યક્ષતા કરશે.
સૈયદ અકબરુદ્દીને ટ્વિટ કરીને આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીને મોટું સન્માન મળી રહ્યું છે. ઘણી મોટી ઉચ્ચ સ્તરીય બેઠકોની અધ્યક્ષતા પ્રધાનમંત્રી મોદી, વિદેશમંત્રી એસ.જયશંકર અને વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રુંગલા સહિત ભારતના ટોચના અધિકારી કરશે. તેમણે કહ્યું કે આ યુએનએસસી પર અમારો આઠમો કાર્યકાળ છે તેમ છતાં પણ 75 વર્ષોમાં પહેલી વાર આપણા રાજકીય નેતૃત્વે સુરક્ષા પરિષદના કોઈ પણ કાર્યક્રમની અધ્યક્ષતા કરવામાં દિલચસ્પી દેખાડી છે.
સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતનો બે વર્ષનો કાર્યકાળ એક જાન્યુઆરી 2021 ના રોજ શરુ થયો
સુરક્ષા પરિષદના અસ્થાયી સભ્ય તરીકે ભારતનો બે વર્ષનો કાર્યકાળ એક જાન્યુઆરી 2021 ના રોજ શરુ થયો હતો. ઓગસ્ટની અધ્યક્ષતા સુરક્ષા પરિષદના બિન સ્થાયી સભ્ય તરીકે 2021-22 માટે ભારતની આ પહેલી અધ્યક્ષતા હશે. ભારત તેના બે વર્ષના કાર્યકાળના છેલ્લા મહિને એટલે કે 2022 ના ડિસેમ્બરમાં ફરી વાર પરિષદની અધ્યક્ષતા કરશે. પોતાની અધ્યક્ષતા દરમિયાન ભારત ત્રણ મોટા સમુદ્રી સુરક્ષા, શાંતિરક્ષણ અને આતંકવાદના ખાતમાના સંબંધમાં ત્રણ ઉચ્ચ સ્તરીય પ્રમુખ કાર્યક્રમોનું આયોજન કરશે.