સુરતના ઓલપાડ ખાતે આજે મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં PM મોદીએ લાભાર્થીઓ સાથે વર્ચ્યુઅલી સંવાદ સાધ્યો જ્યારે CR પાટીલે આકરા પ્રહાર કર્યા.
સુરતના ઓલપાડ ખાતે યોજાયો મેગા મેડિકલ કેમ્પ
PM મોદીએ લાભાર્થીઓ સાથે સાધ્યો વર્ચ્યુઅલી સંવાદ
પહેલાની સરકારમાં ખેડૂતોના નામ પર માત્ર મોટી જાહેરાતો થતી: PM
PM મોદીએ આ કાર્યક્રમમાં કહ્યું કે, 'સુરત તો સૌનો સમાવેશ કરનારું છે, ગમે ત્યાંથી કોઈ સુરતમાં આવે એટલે એની બોલી-ખાણીપીણી બદલાઈ જ જાય અને તે સુરતી બની જાય. સુરતની રગેરગમાં દેશની એકતાનો ભાવ છે. અને આપણો સુરતી લાલો એટલે પછી પૂછવાનું જ શું. ગુલામીના સમયમાં સુરત દેશના એ પ્રથમ સ્થાનમાં હતું કે જ્યાં નમક કા કાનૂનનો વિરોધ થયો હતો. સેવાભાવ શું હોય છે તેને સુરતના લોકો ખૂબ જ સારી રીતે જાણે છે અને આ તો સુરતીઓના લોહીમાં ભળેલું છે. એમના રોજના જીવનનું અંગ છે. સુરત તો સૌને જોડનારું છે અને સૌનો સમાવેશ કરનારું છે.'
આજે ડબલ એન્જીનની સરકાર ખેડૂતોના હિતને સર્વોપરી માનીને કામ કરે છે: PM
વધુમાં PM મોદીએ કહ્યું કે, 'પહેલાની સરકારમાં ખેડૂતોના નામ પર મોટી-મોટી જાહેરાતો થતી, પરંતુ ખેડૂતોના ખાતામાં કંઇ જ નહોતું પહોંચતું. જ્યારે આજે ડબલ એન્જીનની સરકાર ખેડૂતોના હિતને સર્વોપરી માનીને કામ કરી રહી છે.'
સરકારે ગરીબોના આરોગ્યની ચિંતા કરી: PM
એ સિવાય PM મોદીએ કહ્યું કે, 'મેગા મેડિકલ કેમ્પ એ સૌથી મહત્વનો કાર્યક્રમ છે. સરકારે ગરીબોના આરોગ્યની ચિંતા કરી. સેવા અને સદભાવનાને કારણે લોકોનો સ્નેહ મળી રહ્યો છે. હું સુરતના આશીર્વાદ ક્યારેય ભૂલી શકું નહીં. સુરતના અનેક લોકોના આશીર્વાદ મારી સાથે છે. સુરતમાં મેડિકલ કોલેજો વધી અને મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલો પણ વધી. આજે સુરતને મેડિકલ ક્ષેત્રે આધુનિક ટેક્નોલોજી પણ મળી છે. સુરતમાં આરોગ્ય ક્ષેત્રે ખૂબ કામ કર્યું છે. સરકારની યોજના સાથે ગુજરાત સશક્ત બન્યું છે. ગુજરાતમાં 97 ટકા લોકોને નલ સે જલનો લાભ મળી રહ્યો છે.'
PM મોદીનો લાભાર્થી સાથે સીધો સંવાદ
PM મોદીએ લાભાર્થીઓ સાથે સીધો સંવાદ સાધતા લાભાર્થીને પૂછ્યું કે, 'સરકારની કઇ-કઇ યોજનાઓનો તમને લાભ મળી રહ્યો છે.' ત્યારે લાભાર્થી કીર્તિબેન પટેલે જણાવ્યું કે, 'હું ઓલપાડની રહેવાસી છું. મને તમારી પ્રધાનમંત્રી વિમા યોજનાની સહાય મળેલી છે. જેમાં અમે 12 રૂપિયાવાળો વીમો ઉતાર્યો હતો તેમાંથી 2 લાખ રૂપિયાની સહાય અમને મળી. એ સિવાય મને મારા પતિના મૃત્યુ બાદ વિધવા સહાયક યોજનાનો પણ લાભ મળ્યો છે. તો સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત મને ગેસ સિલિન્ડર પણ મળ્યો છે. આ બધું મને સમયસર મળી રહે છે. અમારા ગામના સરપંચ અમને અવારનવાર વિવિધ યોજનાઓ વિશે માહિતી આપતા રહે છે. એટલે અમને બીજી કોઇ તકલીફ પડતી નથી.'
થોડા દિવસોમાં ચૂંટણી આવશે, યુદ્ધની તૈયારી થઈ ગઈ છે, મેદાનમાં ઉતરો ત્યારે કોઈની દયા નહીં રાખવી : પાટીલ
આ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ, CR પાટીલ અને હર્ષ સંઘવી સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે આ કાર્યક્રમમાં CR પાટીલે કહ્યું કે, 'હવે થોડા દિવસોમાં ચૂંટણી આવવાની છે. દરેક સીટ 50 હજારથી વધુ મતોથી જીતવાનું લક્ષ્ય નક્કી છે. યુદ્ધની તૈયારી થઈ ગઈ છે, શસ્ત્રો સજાવાઈ ગયા છે. મેદાનમાં ઉતરો ત્યારે કોઈની દયા નહીં રાખવી. ગુજરાત દેશ દુનિયાનું મોડેલ છે. પૂર્વ PM મનમોહનસિંહ વખતે કોરોના હોત તો શું સ્થિતિ થઈ હોત? નસીબ સારું કે મહામારી વખતે મોદીજી પ્રધાનમંત્રી હતા. PMએ રેવડી નથી આપી. વેક્સિન ફ્રીમાં આપીને લોકોના જીવ બચાવ્યા છે. અર્બન નક્સલાઈઝ લોકોને ઓળખી જવાની જરૂર છે. ગુજરાત વિરોધીઓને AAPએ ટિકિટ આપી. રાજ્યમાં મેધા પાટકરના આંદોલનને કારણે 15 વર્ષ નર્મદા યોજના મોડી થઈ. મારે પૂછવું છે તમને ગુજરાતની પ્રગતિ કેમ નથી ગમતી? રેવડીવાળા વચન આપે છે પરંતુ પૂર્ણ કરી શકશે કે કેમ તે એક સવાલ છે. મહિલાઓને 1 હજાર રૂપિયા આપો વર્ષે 36 હજાર કરોડ થાય. બધી રેવડીનો ખર્ચ 41 હજાર 607 હજાર કરોડ જેટલો થાય છે. 2.18 કરોડ લાખનું બજેટ રેવડીમાં જ પુરૂ થઈ જાય.'