મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં પીએમ મોદીએ જણાવ્યું કે દેશમાં કોરોનાના વધી રહેલા કેસો ચિંતાનો વિષય છે. મોદીએ લોકો પાસેથી કોરોનાથી બચવાના ઉપાયો પણ માંગ્યા હતા.
પીએમ મોદીએ રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે કરી ચર્ચા
વધી રહેલા કેસો ચિંતાનો વિષય-પીએમ મોદી
વેક્સિનેશન કરતા ટેસ્ટિંગ પર ભાર મૂકવાનું જણાવ્યું
PM મોદીએ કહ્યું હતું કે આ બીજી લહેર પહેલાં કરતા વધારે ખતરનાક છે. આવામાં વૅક્સિન કરતા ટેસ્ટિંગની વધારે ચર્ચા કરવી પડશે અને તેના પર સૌથી વધુ ફોકસ કરવું પડશે. માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરો તો તેમાં એક પણ વ્યક્તિ ટેસ્ટિંગ વગરનો ન રહે તેવી સતર્કતા રાજ્યોએ રાખવી પડશે. ટ્રેકિંગ અને ટેસ્ટિંગ જેટલું સફળ બનાવશો તો રાજ્યોને પરિણામો જલ્દીથી સારા મળશે. પીએમ મોદીએ જણાવ્યું કે તત્કાળ ઉપાય કરવાની જરુર છે.
11થી 14 એપ્રિલ ત્રણ દિવસ ટીકા ઉત્સવ બનાવીએ
PM મોદીએ મુખ્યમંત્રીઓને પૂછ્યું કે શું આપણે 11 એપ્રિલ જ્યોતિબા ફૂલેની જન્મજયંતિ છે અને 14 ડો. આંબેડર જ્યંતિ છે ત્યારે આ ત્રણ દિવસને આપણે રસીકરણ માટે ટીકા ઉત્સવ તરીકે ઉજવીએ. આ ત્રણ દિવસ દરમ્યાન 45થી વધુ ઉંમરની વધુમાં વધુ વ્યક્તિઓને રસી આપીએ. આ દરમ્યાન ઝીરો રસીનો બગાડ થાય તેવું નક્કી કરીએ.
માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન આપવું જરુરી
પીએમ મોદીએ કહ્યું કે દુનિયાભરમાં નાઈટ કર્ફ્યુનો સ્વીકાર કરવામા આવ્યો છે. કોરોનાના અટકાવ માટે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન પર ધ્યાન આપવું જરુરી છે. પીએમે કહ્યું કે આ વખતે આપણી પાસે કોરોનાની સામે લડવાના તમામ ઉપાયો ઉપલબ્ધ છે. હવે તો વેક્સિન પણ છે. તેમ છતાં પણ ઘણા લોકો બેદરકાર બની રહ્યાં છે.
70 ટકા આરટી-પીસીઆર ટેસ્ટનું લક્ષ્ય
વડાપ્રધાને કહ્યું કે આપણું ટાર્ગેટ 70 ટકા સુધી આરટી-પીસીઆર ટેસ્ટનું લક્ષ્ય ચાલુ રાખવાનું છે. કોરોનામાંથી બહાર નીકળવાનો રસ્તો વધારે ટેસ્ટિંગ છે. પોઝિટીવિટી રેટ વધતા ગભરાવાની જરુર નથી. જ્યારે ટેસ્ટ થશે ત્યારે ઉપાય મળી રહેશે.
તત્કાળ ઉપાય કરવાની જરુર-અમિત શાહ
બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે કોરોનાના કેસો વધી રહ્યાં છે તેથી તત્કાળ ઉપાય કરવાની જરુર છે. તેમણે કહ્યું કે દેશમાં 9 કરોડ કરતા પણ વધારે લોકોનું રસીકરણ થયું છે. દેશમાં અત્યારે 45 વર્ષથી વધારે વયના લોકોનું ટીકાકરણ ચાલી રહ્યું છે તેને થોડા સમયમા પુરુ કરી લેવામાં આવશે.
સીએમ મમતા બેનરજીએ ગુલ્લી મારી
બેઠકમાં કોરોનાની સ્થિતિ અંગે ચર્ચા કરાઈ છે. બંગાળના સીએમ મમતા બેનરજી પીએમ મોદીની બેઠકમાં હાજર રહ્યાં નથી. આજની બેઠકમાં વેક્સિનેશનના મુદ્દે પણ ચર્ચા થઈ રહી છે. બે દિવસ પહેલા પીએમ મોદીએ કોરોનાની સ્થિતિની સમિક્ષા કરી હતી. ત્યાર બાદ અધિકારીઓને કોરોનાનો ચેપ અટકાવવા માટેના તમામ પગલાંઓ ભરવાનો નિર્દેશ આપ્યો હતો.
11 રાજ્યોમાં કોરોનાથી સ્થિતિ ખરાબ
દેશમાં 11 રાજ્યોમાં કોરોનાની બીજી લહેર પ્રસરી છે તેમાં ટોચના સ્થાને મહારાષ્ટ્ર છે ત્યાર બાદ દિલ્હી,મધ્યપ્રદેશ,ગુજરાત, ઓડિશા, બિહાર, કર્ણાટક સહિતના બીજા રાજ્યો છે. મહારાષ્ટ્રમાં પણ કોરોના વેક્સિનનો સ્ટોક ખૂડી પડતા 109 સેન્ટરોને બંધ કરવા પડ્યાં છે. લોકસભા સાંસદ સુપ્રીયા સુલેએ જણાવ્યું કે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં 109 સેન્ટરોને બંધ કરી દેવાયા છે. મહારાષ્ટ્ર સરકારના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ માન્યું કે રાજ્યમાં વેક્સીનની અછત છે. તેઓએ સરકાર પાસેથી 20 લાખ કોરોના વેક્સીનના ડોઝની માંગણી કરી છે અને કહ્યું કે કેન્દ્ર સરકાર અમને સમયસર વેક્સીન આપે.