ગુજરાતની ચૂંટણી જીતવા માટે પ્રધાનમંત્રી માટે પાટીદાર અને સૌરાષ્ટ્ર કેટલા જરૂરી છે તેના આના પરથી જ જાણી શકાય કે માત્ર 3 જ મહિનામાં પાટીદારોને લગતા PM મોદીએ 6 મોટા કાર્યક્રમ કર્યા.
ગુજરાતનાં પોલિટીક્સનું પાવરહાઉસ એટલે પાટીદાર, 15 ટકા વસ્તી ધરાવતો સમાજ ગતચૂંટણીમાં ભાજપથી રિસાઈ ગયો હતો, જેના માઠા પરિણામ સૌરાષ્ટ્રમાં ભોગવવા પડ્યા અને આખા દેશમાં ફેલાઈ ગયું કે ગઢ ગણાતા ગુજરાતમાં ભાજપ 100ના આંકડાને પણ પાર ન કરી શકી.એવામાં પ્રધાનમંત્રીએ પાટીદારોને ફરી પોતાની તરફ લેવા સૌરાષ્ટ્ર પર ફોકસ વધાર્યું છે. કારણ કે પાટીદાર હોય ભલે 15 ટકા પરંતુ તેમને ગુજરાતના રાજકારણમાં અવગણી શકાય તેવી શક્યતા જ નથી.
આટકોટમાં પાટીદાર શક્તિ પ્રદર્શન
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી માથે છે ત્યારે ફરી પાટીદાર સમાજ ચર્ચાનો કેન્દ્ર બન્યો છે, અને પાટીદારોના વોટથી રાજ્યનો પાવર લેવા માટે રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે. ત્યારે આજે 2થી 3 લાખ પાટીદારોને આટકોટમાં ભેગા કરીને પ્રધાનમંત્રી મોદીએ મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે કે એકાદ બે નેતાઓને છોડીને આખો પાટીદાર સમાજ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. શનિવારે આટકોટમાં પટેલ સમાજ દ્વારા નિર્મિત હોસ્પિટલનું ઉદ્ઘાટન અને તે બાદ ભાજપ સરકારના વિકાસોના કામોનો ઉલ્લેખ કરીને સંબોધન કર્યું હતું.
3 મહિનામાં પાટીદારોને લગતા 6 કાર્યક્રમ
ગુજરાતની ચૂંટણી જીતવા માટે પ્રધાનમંત્રી માટે પાટીદાર અને સૌરાષ્ટ્ર કેટલા જરૂરી છે તેના આના પરથી જ જાણી શકાય કે માત્ર 3 જ મહિનામાં પાટીદારોને લગતા PM મોદીએ 6 મોટા કાર્યક્રમ કર્યા. પ્રધાનમંત્રી મોદીએ માર્ચ મહિનાથી મે મહિના સુધી 17 મોટા કાર્યક્રમ માત્ર ગુજરાત રાજ્યમાં કર્યા, જેમાંથી 6 કાર્યક્રમની લિન્ક પાટીદારો સાથે હતી. 1) 10મી એપ્રિલે જુનાગઢમાં ઉમિયા માતા મંદિરના 14માં પાટોત્સવમાં PM મોદીએ પાટીદારોને સંબોધન કર્યું તો 2) 28મી એપ્રિલે ભુજમાં K K પટેલ હોસ્પિટલનું ઉદ્ઘાટન. 3) સુરતમાં સરદારધામના કાર્યક્રમમાં તો પ્રધાનમંત્રીએ પાટીદારોને ટકોર પણ કરી હતી કે તમારા જ છોકરાઓ ઝંડો લઈ લઈને નીકળી પડે છે એમને સમજાવો કે આપણે કેવા દિવસો જોયા છે. વર્ષ 2017માં ભારતીય જનતા પાર્ટીને સૌરાષ્ટ્ર સહિત આખા ગુજરાતમાં પાટીદારોની નારાજગીને કારણે જે નુકસાન થયું તેને દૂર કરવા માટે 'પાટીદાર મુખ્યમંત્રી' આપવાથી લઈને અનેક કામો દ્વારા પટેલોને ખુશ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 4) આટકોટમાં માતૃશ્રી કેડીપી મલ્ટી સ્પેશિયાલીટીનું ઉદ્ઘાટન, સહિત કુલ 6 કાર્યક્રમ PM મોદીએ કર્યા છે.
કેમ પાટીદારોને ભાજપ તરફ ખેંચવા જરૂરી?
મહત્વનું છે કે ભાજપ 2017માં જે ભૂલ કરી બેઠું હતું તે કરવા નથી માંગતું. કઈ ભૂલ? તો સૌરાષ્ટ્રમાં ભાજપને વાંધો નહીં આવે તેવું સમજી લેવાની ભૂલ. તે સમયે પણ ભાજપ નેતાઓ કહેતા હતા કે 150 પાર બેઠકો આવશે અને આંકડો 100ની નીચે આવતા કોંગ્રેસના ધારાસભ્યો સૌરાષ્ટ્રમાંથી લેવાની મજબૂરી બની હતી. 2017માં તો આંદોલનના કારણે પાટીદાર સમાજે કોંગ્રેસને વોટ આપીને અનેક સીટો પર જીતાડી પણ હવે તો હાર્દિક પટેલ જ ભાજપમાં આવી રહ્યા છે તેવા સમાચાર છે તેમ છતાં ભાજપથી વિમુખ થયેલા પાટીદારો ફરી ભાજપમાં જ આવે તે જરૂરી છે, કારણ કે 2021 સ્થાનિક ચૂંટણીઓમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર પાટીદારોનો બીજો ગઢ ગણતા સુરતમાં પાટીદારોએ જ આમ આદમી પાર્ટીને વોટ આપીને જીતાડી હતી. જેથી કોંગ્રેસ કદાચ પાવર ન બતાવે તો ક્યાંક AAP સૌરાષ્ટ્રમાં પાવરફૂલ ન બની જાય તેની ભાજપ આગોતરી તૈયારી કરી રહ્યું છે.
સૌરાષ્ટ્રમાં કુલ 54માંથી પાટીદારોની 23 સીટ, કોઈ પણ પાર્ટી માટે કેમ જરૂરી?
વર્ષ 2017ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 100ના આંકડાને પણ પાર કરી શકી નહીં તેનું મુખ્ય કારણ પાટીદાર સમાજની નારાજગી નડી, એવામાં જો આ વખતે સારી જીત મેળવવી હોય તો પાટીદારોને ફરી ભાજપ તરફ વાળવા ખૂબ જરૂરી છે. ઉત્તર ગુજરાતમાં પાટીદારોની 8, મધ્યમાં 10 જ્યારે દક્ષિણમાં 9 બેઠકો છે જ્યાં પ્રભાવ પડે છે, એવામાં સૌરાષ્ટ્ર જ એક એવી જગ્યા છે જ્યાં જો પાટીદારો એક થઈ જાય તો ગમે તેવા ખેરખાંને પાણીમાં બેસાડી શકે છે, સૌરાષ્ટ્રની 23 બેઠકો એવી છે જ્યાં પાટીદારોના આશીર્વાદથી જ ધારાસભ્ય બની શકાય છે.
આ આંકડા પરથી જ સમજી શકાય છે કે ગાંધીનગરની ખુરશી પર જવાનો રસ્તો વાયા સૌરાષ્ટ્રથી જ જાય છે, કોંગ્રેસ પાર્ટીને પાટીદારોએ 2017માં ઘણો લાભ તો કરાવ્યો પણ તે બાદ પાટીદાર રાજકારણ પર કોંગ્રેસે કોઈ મોટું કામ કર્યું નથી અને વોટબેન્કને પકડી રાખવા પણ પ્રયાસ કર્યા નથી, આ જ કારણ છે કે ભાજપ આ વોટ ફરી પોતાની તરફ ખેંચવા માટે પરસેવો પાડી રહ્યું છે.
લેઉઆ પટેલ સમાજનું સૌરાષ્ટ્રનું પ્રભુત્વ, નરેશ પટેલ નવાજૂની કરી નાંખે તો ડખા થાય
આ સિવાય નરેશ પટેલ પણ એક દિગ્ગજ ચહેરો છે, જોકે નરેશ ભાઈ પત્તાં નથી ખોલી રહ્યા, પણ જો તે ભાજપ સિવાય કોઈ બીજી પાર્ટીમાં જાય તો સીધી જ 25 બેઠકો પર નરેશ પટેલની અસર પડે, એવામાં ભાજપ માટે મુસીબત ઊભી થઈ શકે છે. શનિવારના આટકોટના કાર્યક્રમમાં પણ નરેશ પટેલને આમંત્રણ આપવામાં આવ્યું હતું પરંતુ નરેશભાઇ અન્ય કાર્યક્રમનું બહાનું આપીને આવ્યા હતા નહીં. સૌરાષ્ટ્રની સાથે સાથે સુરતની 10 બેઠકો પર પણ લેઉઆ પટેલ સમાજનો જબરો પ્રભાવ છે, મધ્ય ગુજરાતમાં પણ આ સમાજની વસ્તી છે. વારંવાર પાટીદારોને એક કરવા અને પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી પાટીદાર પાવર બતાવવાની વાત કરતાં નરેશ પટેલને ખોડલધામના કારણે આખા સમાજમાં ખૂબ માન મળે છે.
2022માં ભાજપ માટે ગોલ્ડન ચાન્સ, પાટીદારોના ગઢથી જ શ્રીગણેશ
પાટીદારોના ગઢ જસદણ આટકોટથી પ્રધાનમંત્રી મોદીએ શક્તિપ્રદર્શન સાથે સમાજને સાથે લેવાનું અભિયાન હવે પોતાના હાથમાં જ લીધું છે, 2012માં મોદીના નામ પર ચૂંટણી થઈ ત્યારે ભાજપના 36 ધારાસભ્યો પાટીદાર હતા અને આખા પાટીદાર એટલે ભાજપ એવું ગુજરાતમાં કહેવાતું હતું, PM મોદીએ ગુજરાત છોડ્યું ત્યારથી જ ભાજપ સાથે ધીમે ધીમે નારાજગી વધતી ગઈ. જોકે 2022 માટે તો પાટીદારોને લઈને પ્રધાનમંત્રી પોતે ખૂબ જ એક્ટિવ દેખાઈ રહ્યા છે.
આટલું જ નહીં હાર્દિક પટેલે પણ કોંગ્રેસ છોડી દીધી છે અને કેસરીયો જ ધારણ કરશે તેવું તેમના નિવેદનો પરથી લાગી રહ્યું છે, એવામાં ભાજપની સરકારે જ બિનઅનામત વર્ગને અનામતનો લાભ આપ્યો છે અને તેના માટે ભાજપને મત આપવા જોઈએ તેવું કારણ પણ આગળ ધરી શકાય છે.
ઉત્તર પ્રદેશમાં ભવ્યાતિભવ્ય જીત મેળવ્યા બાદ આત્મવિશ્વાસથી ભરપૂર ભાજપ ગુજરાતમાં પણ મોટી જીતના સપના જોઈ રહ્યું છે, પાટીદારોની સાથે સાથે આદિવાસી સમાજના વોટ બઁક પર પણ ભાજપની નજર છે, આદિવાસીઓ ગુજરાતની 38 બેઠકો પર સીધું પ્રભુત્વ ધરાવે છે અને પાટીદાર-આદિવાસી કોમ્બિનેશન રાજ્યમાં કેસરિયાને કેટલો સાથ આપે છે તે આગામી સમયમાં જોવું રહ્યું.