ભાજપ નેતા ચંદ્રકાંત પાટીલે મોટો ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, હું અઢી વર્ષથી કહેતો હતો કે મહારાષ્ટ્રમાં અમારી સરકાર આવશે, હું કાર્યકરોનું મનોબળ વધારવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
ભાજપના વરિષ્ઠ નેતા ચંદ્રકાંત પાટીલે કર્યો મોટો ખુલાસો
ઉદ્ધવ સરકારને પછાડવા માટે અઢી વર્ષથી ચાલતો હતો પ્લાનિંગઃ પાટીલ
2019માં ચૂંટણી બાદ NDAથી અલગ થઈ ગયા હતા ઉદ્ધવ ઠાકરે
ભાજપના વરિષ્ઠ નેતા અને કેબિનેટ મંત્રી ચંદ્રકાંત પાટીલે શુક્રવારે એક મોટો ખુલાસો કર્યો. તેમણે કહ્યું કે, મહાવિકાસ આઘાડી સરકારને પાડવા માટે અઢી વર્ષથી પ્લાનિંગ ચાલી રહ્યું હતું. ચંદ્રકાંત પાટીલે પુણેના તિલક મેમોરિયલ ઓડિટોરિયમમાં આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું. પાટીલ ભાજપના પ્રદેશ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. જ્યારે ચૂંટણી યોજાઈ ત્યારે પાટીલના હાથમાં રાજ્યની કમાન હતી. તાજેતરમાં પાટીલના મંત્રી બન્યા પછી ભાજપે ચંદ્રશેખર બાવનકુલેને મહારાષ્ટ્ર રાજ્યની જવાબદારી સોંપી છે.
મને ખબર હતી અમારી સરકાર આવશેઃ પાટીલ
ચંદ્રકાંત પાટીલે વધુમાં જણાવ્યું કે, હું અઢી વર્ષથી કહી રહ્યો હતો કે અમારી સરકાર આવશે, એવું કહેવા માટે હું પાગલ નહોતો. મને ખબર હતી કે અમારી સરકાર આવશે. હું કાર્યકરોનું મનોબળ વધારવાનો પ્રયાસ કરી રહ્યો હતો. ખરેખર અઢી વર્ષથી અમે અમારી સરકાર લાવવાનો પ્લાનિંગ કરી રહ્યા હતા.
2019માં ચૂંટણી બાદ NDAથી અલગ થઈ ગયા હતા ઉદ્ધવ ઠાકરે
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં 2019ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને શિવસેનાએ ગઠબંધન કર્યું હતું. બાદમાં જ્યારે સીએમ પદને લઈને વિવાદ વધ્યો ત્યારે ઉદ્ધવ ઠાકરેએ અલગ રસ્તો અપનાવ્યો અને એનસીપી, કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના સમર્થનથી મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં સરકાર બનાવી લીધી હતી. અઢી વર્ષ પછી એકનાથ શિંદેના સમર્થનમાં શિવસેનાના ધારાસભ્યોએ ઉદ્ધવ ઠાકરે સામે બળવો કર્યો. જે બાદ શિંદે જૂથે ભાજપ સાથે હાથ મિલાવી લીધો અને રાજ્યમાં ગઠબંધનની સરકાર બનાવી લીધી.
દેવેન્દ્ર ફડણવીસને CM પદ પર જોવા માંગતા હતા પાટીલ
30 જૂનના રોજ એકનાથ શિંદેએ મુખ્ય પ્રધાન તરીકે અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા હતા. જે બાદ ભાજપના તત્કાલિન પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું હતું કે, પાર્ટીએ કઠણ હૈયે દેવેન્દ્ર ફડણવીસના સ્થાને એકનાથ શિંદેને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય લીધો છે. જોકે, બાદમાં ભાજપના અન્ય નેતા આશિષ સેલરે કહ્યું હતું કે, તે પાર્ટી અથવા પાટીલનું સ્ટેન્ડ નથી, પરંતુ તેઓ પાર્ટીના કાર્યકરોની ભાવનાઓનો ઉલ્લેખ કરી રહ્યા હતા.