ઝારખંડના દેવઘરમાં રોપ-વે દુર્ઘટના બાદ લોકોની સુરક્ષાનો મુદ્દો હાલ ગરમાયો છે. તેવામાં ગુજરાતના બંને યાત્રાધામ પાવાગઢ અને જૂનાગઢમાં આવેલા રોપ-વે પ્રવાસીઓ માટે કેટલા સુરક્ષિત છે ?
ગુજરાતના રોપ-વે કેટલા સુરક્ષિત?
VTV દ્વારા રોપ-વેનું કરાયું રિયાલિટી ચેક?
જૂનાગઢ-પાવાગઢમાં લોકોની સુરક્ષાનું રિયાલિટી ચેક
ઝારખંડના દેવઘરમાં રોપ-વે અકસ્માત બાદ તમામ રાજ્યોમાં રોપ-વેના પ્રોજેક્ટોની કેવી હાલત છે તેને લઈને સરકાર સફાળી જાગી છે. ત્યારે ગુજરાતના રોપ-વે લોકો માટે કેટલા સુરક્ષિત છે તેનો રિપોર્ટ એજન્સીઓ આપે તે પહેલા વીટીવી ન્યૂઝ ખુદ ગુજરાતના બંને યાત્રાધામોની મુલાકાતે પહોંચી ગયું હતું. ત્યારે જાણો અહીં લોકોની સુરક્ષા માટે રોપ-વે કંપનીઓ કેટલી અલર્ટ છે. પ્રથમ વખત ગુજરાતમાં વીટીવી ન્યૂઝની ટીમે સ્થળ પર જઈને તપાસ કરી.
જૂનાગઢમાં આવેલા રોપ-વેના રિયાલિટી ચેક
વીટીવી ન્યૂઝની ટીમ સૌથી પહેલા એશિયાના સૌથી મોટા રોપ-વે એટલે કે, જૂનાગઢમાં આવેલા રોપ-વેના રિયાલિટી ચેક માટે પહોંચ્યું હતું. અહીં ખુદ રોપ-વેમાં સુવિધાઓ અને સેફ્ટીનું નિરીક્ષણ કર્યું હતું. કારણ કે, રોપ-વે કંપની કે અધિકારીઓ તો આ મુદ્દે જવાબ આપવા માટે તૈયાર નહોતા. પરંતુ જ્યારે અમારી ટીમે પ્રવાસીઓ પાસે સુવિધા અને સેફ્ટીના મુદ્દે વાત કરી તો જાણવા મળ્યું કે, રોપ-વેની ટ્રોલીમાં સેફ્ટીને લઈને કોઈ સુવિધા નથી. જો કોઈપણ વ્યક્તિને કાંઈ થયું હોય કે, ટ્રોલિમાં કોઈ ખરાબી આવી હોય તો રોપ-વે સંચાલક સ્ટાફનો સંપર્ક કરી શકાય તેવી પણ કોઈ વ્યવસ્થા નથી. તેવામાં લોકો આ પ્રકારની વ્યવસ્થાની માગ કરી રહ્યા છે. જોકે મીડિયા સામે આવ્યા વગર કેટલાક અધિકારીઓએ એટલું ચોક્કસથી જણાવ્યું કે, ગિરનાર પરનો 2.32 કિલોમીટરનો રોપ-વે 100 ટકા પર્યટકો માટે સુરક્ષિત છે.
પાવાગઢમાં આવેલા રોપ-વેના રિયાલિટી ચેક
જૂનાગઢ બાદ વીટીવી શક્તિપીઠ પાવાગઢ ખાતે પણ પહોંચ્યું હતું. કારણ કે, અહીં વર્ષોથી રોપ-વેની સુવિધા છે. જૂનાગઢની જેમ ઉષા બ્રેકો કંપની જ તેનું સંચાલન કરી રહી છે. લોકોની સુરક્ષાને ધ્યાને રાખતા અમે અહીં સ્થાનિક કર્મચારીઓ સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો. તો જાણવા મળ્યું કે, 32 જેટલી ટ્રોલી સાથે કાર્યરત રોપ-વેમાં રોજ 3 થી 6 હજાર જેટલા યાત્રાળુઓ પ્રવાસ કરે છે. અને અહી ખુબ અનુભવી સ્ટાફ રોજ રોપ-પેનું ચેકિંગ કરે છે. અલગ-અલગ તબક્કામાં શિડ્યુલ પ્રમાણે મેન્ટેનન્સ પણ કરવામાં આવે છે. એટલું જ મુસાફરોને બેસાડતા પહેલા રોજ 10 મિનિટ સુધી રોપ-વે ચલાવવામાં આવે છે. ઈમરજન્સીની ઘટનામાં રોપ-વેમાં ફસાયેલા લોકોને બચાવવા માટે પણ 3 જેટલી ઓટોમેટિક રેસ્ક્યુ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. આમ એટલું ચોક્કસથી કહી શકાય કે, ઝારખંડ જેવી દુર્ઘટના ગુજરાતમાં ઘટવાની કોઈ શક્યતાઓ નથી. ગુજરાતના બંને યાત્રાધામના રોપ-વે પ્રવાસીઓ માટે સુરક્ષિત છે.
ઝારખંડમાં રોપ-વેની દુર્ઘટના બાદ કેન્દ્રનો નિર્દેશ
ગુજરાત સહિત તમામ રાજ્યો પાસે ઓપરેશન-મેઈન્ટેનન્સની વિગત માંગી છે. રોપ-વે માટે એડવાઈઝરી જારી કરવામાં આવી છે. ગૃહ વિભાગે BISના ધારાધોરણનું કડક પાલન કરવા જણાવ્યું છે. રોપ-વેના ઓડિટ માટે વ્યવસ્થા ગોઠવવા ગૃહવિભાગની સૂચના આપી છે. યોગ્ય અનુભવી ફર્મની નિમણૂંક માટે સૂચના આપવામાં આવી છે.
ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પર્વત પર સર્જાઇ હતી રોપવે દુર્ઘટના
રોપ-વેમાં બેસીને લીલાછમ પહાડો અને કુદરતનો નજારો જોવો કોને ન ગમે પણ ઝારખંડના દેવઘરમાં ત્રિકુટ પર્વત પર કુદરતી નજારો માણી રહેલા સહેલાણીઓ સંકટમાં મુકાઈ ગયા. રોપ-વે ચલાવતી કંપનીની બેદરકારી ગણો કે દુર્ઘટના. પણ 48 જિંદગી 24 કલાકથી હવામાં ફસાઈ હતી. કેટલાક લોકોના મૃત્યુ પણ થયા હતા. સંકટ સમયે દેવઘરમાં સેનાના જવાનો દેવદૂત બનીને ઉતર્યા અને બાદમાં હાથ ધરાયું રેસ્ક્યૂ ઓપરેશન.