પાક.ની ગુપ્તચર એજન્સી ISI એ પાકિસ્તાન અને અફઘાનિસ્તાની તાલિબાનોને અફઘાનમાં ભારત દ્વારા બનાવાઈ રહેલી સંપત્તિઓને નુકશાન પહોંચાડવાનો આદેશ આપ્યો છે.
પાક.ની ગુપ્તચર એજન્સી ISI ના ખોફનાક ષડયંત્રનો ખુલાસો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાની તાલિબાનોને આપ્યો મોટો આદેશ
અફઘાનમાં ભારત દ્વારા બનાવાઈ રહેલી સંપત્તિઓને નુકશાન કરો
ભારત સરકારે છેલ્લા બે દાયકામાં અફઘાનિસ્તાનમાં ત્રણ અબજ ડોલરનું રોકાણ કર્યું છે. આ ત્રણ અબજ ડોલરની રકમમાંથી અફઘાનિસ્તાનમાં અનેક પ્રકારના બાંધકામ ચાલી રહ્યાં છે. તેમાં ડેલારામ અને જરાંજ સલમા બંધની વચ્ચે 218 કિલોમીટર લાંબી સડક, સંસદ ભવન સહિતના બીજા કામો સામેલ છે. અફઘાનિસ્તાની સરકારની સામે તાબિલાનને ટેકો આપવા 10 હજારથી વધારે પાકિસ્તાની લોકો સામેલ થયા છે.
પાકિસ્તાની લડાકૂઓને આપ્યો વિશેષ નિર્દેશ
અફઘાનિસ્તાનની દેખરેખ રાખનાર સરકારી સૂત્રોએ જણાવ્યું કે પાકિસ્તાની અને તાલિબાન લડાકૂઓને ખાસ સૂચના આપીને ભારત નિર્મિત સંપત્તિઓને નિશાન બનાવવા માટે મોકલાયા છે. આતંકીઓને ભારતના સારા કામમાં આડખીલીરુપ બનવાનું પણ જણાવાયું છે. ભારતે અફઘાનિસ્તાનના શિક્ષણ ક્ષેત્રમાં ઘણું મોટું યોગદાન આપ્યું છે. તેના શિક્ષકો અને સહાયક કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં પણ ભારતે મોટી ભૂમિકા ભજવી છે.
અફઘાનિસ્તાનમાં ભારત વિરોધી ઘણા આતંકી સંગઠનો સક્રિય
હક્કાની નેટવર્ક સહિત પાકિસ્તાન સમર્થિત ઈસ્લામિક આતંકવાદી સમૂહ અફઘાનિસ્તાનમાં ભારતની સામે ઘણા વર્ષોથી સક્રિય છે. કાબૂલ એરપોર્ટ પર પણ ભારતીય એજન્સીઓની ચાંપતી નજર છે. અફઘાનિસ્તાનમાં સિવિલ વર્કમાં લાગેલા ભારતીય કામદારોને પણ બહાર જતા રહેવાનું જણાવી દેવાયું છે. ભારતીય જાહેર સેક્ટની કંપની WAPCOS શાહતૂત બંધ પરિયોજના માટે પોતાના થોડા અધિકારીઓને અફઘાનિસ્તાનમાં તહેનાત કર્યાં છે.