પાકિસ્તાને ફરી એક વખત ભારતીય તીર્થયાત્રીઓ માટે કરતારપુર કૉરિડોર ખોલી નાખ્યો છે. પાકિસ્તાનનું કહેવું છે કે, તેમને ત્યાં કોરોનાની સ્થિતિમાં સુધાર થયા બાદ જ કરતારપુર સાહિબ કૉરિડોરને ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
કોરોના વાયરસના કારણે કૉરિડોર પર અવરજવર પર પ્રતિબંધ હતો
પાકિસ્તાનના ધાર્મિક મામલાઓને મંત્રાલયે એક જાહેરનામુ જાહેર કરીને આ માહિતી આપી છે. પાકિસ્તાની મીડિયાના જણાવ્યા અનુસાર, ભારતીય તીર્થયાત્રીઓને સવારથી સાંજ સુધી ગુરૂદ્વારાના દર્શન કરવાની મંજૂરી મળશે.
ત્યારે ભારતનું કહેવું છે કે, પાકિસ્તાનમાં વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયાની સ્થિતિ છે અને ત્યાં પુલથી લઇને પાયા સુધીની હાલત ખરાબ છે. તેવામાં ભારતીય તીર્થયાત્રિઓ માટે સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવે. તમને જણાવી દઇએ કે, કોરોના વાયરસના કારણે કૉરિડોર દ્વારા તીર્થયાત્રીઓની અવરજવર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો.
પાકિસ્તાનના આ નિર્ણય પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, અમે ગૃહ અને સ્વાસ્થ્ય મંત્રાલય સહિત તમામ સંબંધિત અધિકારીઓ સાથે સંપર્કમાં છીએ. ભારત તરફથી કૉરિડોરને ફરી ખોલવાના નિર્ણય કોવિડ પ્રોટોકૉલ આધારે લેવામાં આવશે અને તે અનુસાર પ્રતિબંધોમાં ઢીલ આપવામાં આવશે.