પાકિસ્તાની કેપ્ટન સરફરાઝ અહમદનું માનવુ છે કે વર્લ્ડ કપમાં સેમિફાઇનલમાં પહોંચવા માટે તેમની ટીમને બાંગ્લાદેશની વિરુદ્ઘ શુક્રવારે એટલે કે આજે થનારી અંતિમ લીગ મેચમાં ચમત્કારની જરૂર પડશે.
સેમિફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાનને પહેલા બેટિંગ કરીને મોટી જીતની જરૂર પડશે. પરંતુ જો બાંગ્લાદેશ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરશે તો પાકિસ્તાન સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ જશે.
બાંગ્લાદેશના વિરુદ્ઘ છેલ્લી 4 મેચમાં હારનો સામનો કરનાર પાકિસ્તાની કેપ્ટને કહ્યુ કે, ''અમે અહીંયા મેચ જીતવા માટે આવ્યા છે. અને અંતિમ લીગ મેચ જીતીને અમારા અભિયાનને પૂરુ કરવા ઇચ્છીશું. સેમિફાઇનલ માટે જે જરૂરી હશે તે અમે કરવાનો પ્રયત્ન કરીશું. જોકે અલ્લાહ ઇચ્છશે તો ચમત્કાર થઇ શકે છે.''
સરફરાઝે કહ્યુ કે, ''આ એવુ છે કે તમે 600, 500, 400 રન કરો અને એ જ પીચ પર વિરોધી ટીમને 50 રન પર આઉટ કરી દો ત્યારે તમે 316 રનના અંતરથી જીતી શકો છો. જો તમને લાગે છે કે આ સંભવ છે તો અમે પ્રયત્ન કરીશું.''
આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી પાકિસ્તાનના સર્વોચ્ચ સ્કોરની વાત કરવામાં આવે તો 348/8 હતો. પાકિસ્તાની ટીમે આ સ્કોર ટૂર્નામેન્ટની મોસ્ટ ફેવરિટ ટીમ ઇંગ્લેન્ડ વિરુદ્ઘ બનાવ્યા હતા. આ સિવાય વર્લ્ડ કપના સર્વોચ્ચ સ્કોરની વાત કરવામાં આવે તો ઇંગ્લેન્ડની ટીમ અફધાનિસ્તાનની વિરુદ્ઘ સૌથી વધારે 397/6 રન કર્યા હતા.