કોરોનાની મહામારી વચ્ચે ભયાનક દ્રશ્યો જોવા મળ્યા છે. લોકડાઉનના વિરોધમાં રસ્તા પર ઉતરીને ટોળાએ રસ્તા પર આગ પ્રસરાવી હતી. આ લોકો પોતાના વતન પરત જવા દેવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. આ ઘટના સુરતના લસકાણા વિસ્તારમાં બની છે. જ્યારે લૂમ્સ અને અન્ય વ્યવસાયના કારીગરો લોકડાઉન વચ્ચે જ રસ્તા પર ઉતરી આવ્યા હતા.
પરપ્રાંતિઓ દ્વારા લોકડાઉનનો વિરોધ
અમને ઘરે જવા દો
અમે ભૂખે મરી રહ્યા છીએ ઘરે મોકલો
લોકડાઉન લંબાવવાની અફવાથી ગિન્નાયેલા આ કારીગરોએ રસ્તા પર આગજની કરી હતી અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. આ લોકોના વિરોધનો વિરોધ એટલો તિવ્ર હતો કે, રસ્તા પર જતી એમ્બ્યુલન્સ પણ ન બક્ષી અને તેના પર પથ્થરમારો કર્યો. જેથી પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ટોળાના આગેવાનોની અટકાયત કરી લીધી.
રોડ રસ્તાઓ પર તાંડવ મચાવનારા આ પરપ્રાંતિયો ઉત્તરપ્રદેશ, બિહાર અને ઓડિશાના છે. તેઓ અહીં સુરતમાં કામ કરે છે પરંતુ હાલ કામધંધા બંધ થતા તેમની રોજગારી છીનવાઈ ગઈ છે. એટલે રોજનું કમાઇને રોજ ખાનારા આ મજુરો લોકડાઉનના કારણે ત્રસ્ત છે અને તેમનો પરિવાર ભૂખ્યો છે. એટલે તેઓ વિરોધ કરી રહ્યા છે.
કેટલીક જગ્યાએ પોલીસે માનવતા દાખવી
પોલીસે હાલ વિરોધ કરી રહેલા મજૂરોની અટકાયત તો કરી લીધી છે. પરંતુ માનવતા દાખવીને તેમને પોલીસ સ્ટેશનમાં જમાડી રહી છે. સેવાભાવી લોકો પણ તેને જમાડવા માટે આવ્યા છે. જોકે, ગુજરાત પોલીસે લોકડાઉનનું ઉલ્લંઘન કરનારા તમામ લોકો સામે પગલા લેવાની પણ ચેતવણી આપી છે.
દિવાળીના વેકેશન બાદથી લૂમ્સના કારખાનાઓ હજુ પાટે ચડ્યા જ ન હતા
લોકડાઉન લૂમ્સના મજૂરો માટે પડ્યા પર પાટા સમાન છે. કારણ કે, સુરતમાં દિવાળીના વેકેશન બાદથી લૂમ્સના કારખાનાઓ હજુ પાટે ચડ્યા જ ન હતા ત્યા લોકડાઉન થઈ ગયું. હવે તેઓની હાલત કફોડી થઈ રહી છે. એટલે પરત જવા માગે છે. કારણ કે, સરકારે સામાજિક સંસ્થાઓ દ્વારા ચલાવાતા રાહતના રસોડાઓ પણ બંધ કરાવી દીધા છે. પરિવારની ભૂખ અને વાયરસના ભય વચ્ચે હાલતો શ્રમિકોની રાહ મુશ્કેલ બની છે.