ડુંગળીના ભાવ ઓછુ થવાનું નામ નથી લઇ રહ્યા. આયાત દ્વારા બજારમાં ડુંગળીનો પૂરવઠો વધારવાના સરકારના પ્રયાસ બાદ પણ ગોવા અને કેટલીક જગ્યાઓ પર ડુંગળીનો ભાવ 160-165 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે. સંસદ (Parliament)માં સરકારે જણાવ્યું કે, આયાત કરવામાં આવેલી ડુંગળીનો જથ્થો 20 જાન્યુઆરી સુધી દેશમાં આવવા લાગશે.
આયાત કરાયા બાદ પણ ડુંગળીના ભાવમાં સતત વધારો
ડુંગળીનો ભાવ 160-165 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચ્યો
સરકારે ભાવને અંકુશમાં લેવા માટે 1.2 લાખ ટન ડુંગળીની આયાતને મંજૂરી આપી
મિનિસ્ટ્રી ઓફ કન્ઝ્યુમર અફેર્સના આંકડાઓ અનુસાર દેશના મોટાભાગના શહેરોમાં, ડુંગળીનો છુટક ભાવ 100 રૂપિયા પ્રતિ કિલોગ્રામથી વધારે હતો. જ્યારે ડુંગળીના મુખ્ય ઉત્પાદક કેન્દ્ર, મહારાષ્ટ્રના નાસિકમાં શુક્રવારે તેનો દર 75 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.
પણજી (ગોવા)માં ડુંગળીનો ભાવ 165 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, માયાબંદર (આંદમાન) માં 160 રૂપિયા કિલોગ્રામ, અને કેરળના તિરુવનંતપુરમ, કોઝીકોડ, ત્રિસુર અને વાયનાડમાં શુક્રવારે આ કિંમત 150 રૂપિયા કિલોગ્રામ હતી.
મંત્રાલય દ્વારા અલગ-અલગ શહેરો વિશે પ્રાપ્ત કરાયેલી સૂચના અનુસાર કોલકાતા, ચેન્નઇ, કેરળ અને તમિલનાડુમાં કેટલાક સ્થાનો પર ડુંગળીનો ભાવ 140 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો. જ્યારે ભૂવનેશ્વર અને કટક (ઓરિસ્સા) માં ડુંગળીનો ભાવ 130 રૂપિયા પ્રતિ કિલોગ્રામ, હરિયાણા અને મેરઠ (ઉત્તરપ્રદેશ) માં ડુંગળીનો ભાવ 120 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રહ્યો હતો.
ગ્રાહક મામલાના મંત્રાલયમાં રાજ્યમંત્રી દાનવે રાવસાહેબ દાદારાવે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન કહ્યું, એ વાતમાં કોઇ આશંકા નથી કે ડુંગળીના ભાવમાં વધારો થયો છે. ડુંગળીની અછતનું મુખ્ય કારણ વરસાદથી ડુંગળીના પાકને નુકશાન છે. દેશનું મુખ્ય ઉત્પાદક રાજ્ય મહારાષ્ટ્રમાં ડુંગળીનો મોટાભાગનો પાક બરબાદ થઇ ગયો છે. તેઓએ કહ્યું કે સરકારે ડુંગળીના ભાવને અંકુશમાં લેવા માટે 1.2 લાખ ટન ડુંગળીની આયાતને મંજૂરી આપી છે.